કોક્રોચ જનતા પાર્ટીએ દેશના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. ગુજરાતમાં પણ કોક્રોચ જનતા પાર્ટીની એન્ટ્રી થઈ છે. યુવા નેતા મનીષ બ્રહ્મભટ્ટને નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.
કોક્રોચ જનતા પાર્ટીના જણાવ્યા અનુસાર આગામી ૧ જૂનથી શહેરો, ગામો, મહોલ્લાઓ અને કોલેજોમાં યુવાનોને જોડવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે. હું કોકરોચ છું અને હું ક્રાંતિકારી છું જેવા સૂત્રો સાથે આ અભિયાન આગળ વધારવામાં આવશે. પાર્ટીનો દાવો છે કે તે અન્યાય, અત્યાચાર અને શોષણ સામે યુવાનોનો અવાજ બનશે.
રાજ્યના યુવાનોને આ પાર્ટી પોતાની મુવમેન્ટ સાથે જોડશે. આ પાર્ટીએ છ મુદ્દા જાહેર કર્યા છે. મેરિટ આધારિત પ્રજા ટિકિટની માંગ, સમાન શિક્ષણ રોજગાર કાયદાની માંગ અને ખોટી FIR મુદ્દે કડક કાયદાની માંગ. આ ઉપરાંત અન્યાય સામે ૬ મહિનામાં ન્યાયની ગેરંટીનો કાયદો, જનતા રેડ તેમજ ખોટી FIR દાખલ કરનારાઓને તત્કાલ ડિસમિસનો કાયદો લાગુ કરવાનો પણ મુદ્દો જાહેર કર્યો છે.
કોક્રોચ જનતા પાર્ટી પાર્ટીએ ગુજરાતમાં પોતાની સત્તાવાર એન્ટ્રી જાહેરાત કરતાં રાજ્યના રાજકારણમાં પણ સળવળાટ શરૂ થયો છે. તેમજ રાજ્યભરમાં GenZ યુવાનોને જોડવા માટે અભિયાન શરૂ કરવાની તૈયારી હાથ ધરી છે.
કોક્રોચ જનતા પાર્ટી હાલમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. વાસ્તવમાં આ કોઈ રાજકીય પક્ષ નથી, પરંતુ તેને એક વ્યંગાત્મક ઓનલાઈન આંદોલન અથવા કેમ્પેઈન તરીકે જોવામાં આવે છે. આ ઝુંબેશ મુખ્યત્વે બેરોજગારી, મોંઘવારી અને યુવાનોને લગતા અન્ય મહત્વના મુદ્દાઓ ઉઠાવવાને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી છે અને મોટી સંખ્યામાં યુવાનો સોશિયલ મીડિયા પર આ ઓનલાઈન કેમ્પેઈન સાથે જોડાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેના માતાપિતા મહારાષ્ટ્રમાં રહે છે. છત્રપતિ સંભાજીનગરમાં રહેતા તેના માતાપિતા ભગવાન અને અનિતા દિપકે એ જણાવ્યું હતું કે તેઓ તેમના પુત્રને રાજકારણમાં પ્રવેશવા દેવા માટે ઉત્સુક નથી. તેઓ ઇચ્છે છે કે તેમનો પુત્ર પુણે અથવા દિલ્હીમાં નોકરી કરે. અભિજીતના આ પગલા વિશે જાણ્યા પછી માતાપિતાએ કહ્યું કે તેમની ઊંઘ ઉડી ગઈ છે.
