આજે ફરીથી હવામાનમાં પલટો આવી શકે છે. 15 જુલાઈથી હવામાનમાં ભેજ આવશે, જેના પરિણામે 16 જુલાઈથી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ શરૂ થશે. રથયાત્રાના દિવસે અમદાવાદમાં પણ અમી છાંટણા થઈ શકે છે.
અત્યારે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેની અસર મુખ્યત્વે પૂર્વ ભારતમાં જોવા મળશે. જ્યારે આગામી 17 જુલાઈ બાદ વધુ એક સિસ્ટમ સક્રિય થશે, જેની અસર ગુજરાતના ભાગોમાં થશે. આ સાથે જ દેશમાં એક પછી એક પશ્ચિમી વિક્ષોપ આવતા રહશે. જેના પરિણામે 20 જુલાઈ સુધી ગુજરાતના ભાગોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, 20 જુલાઈએ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવી રહ્યો છે. આ નક્ષત્રનું પાણી ખૂબ જ સારું ગણાય છે. જે બાદ 3 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનું પાણી ખેડૂતો માટે સારું નથી ગણવામાં આવતું.
આ ઉપરાંત આગામી 22 થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં વરસાદનો સારો રાઉન્ડ આવશે. આ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ફરીથી મેઘરાજા મન મૂકીને વરસી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, હજુ સુધી સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા જિલ્લાઓ વરસાદ વિના ઝઝૂમી રહ્યા છે. જે પૈકી જામનગરના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા જરૂર નોંધાયા છે. જો કે વાવણી લાયક વરસાદથી ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓ વંચિત છે. કચ્છમાં પણ વરસાદની અછત વર્તાય છે.
જો કે હવે નવી સિસ્ટમના કારણે વરસાદથી વંચિત કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. જેમાં વડોદરા, અમદાવાદ, પંચમહાલ, મહીસાગર ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે.
એક પછી એક સિસ્ટમના કારણે મધ્ય પ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાના કારણે નર્મદાના જળસ્તરમાં વધારો થશે. જેની અસરથી મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના જિલ્લાઓમાં પણ સારો વરસાદ પડશે. જો કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અલનીનોની ઘાતકી અસર અનુભવાશે.
હકીકતમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહી પર સવાલ ઉઠાવીને તેમની સામે ગુનો નોંધવાની માંગ કરી હતી. જેના પરિણામે અંબાલાલ પટેલે પરંપરાગત જ્ઞાનના અપમાનનો આધાર આપીને હવે પછી કાયમ માટે આગાહી નહીં કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
જો કે અન્ય આગાહીકારો અને ખેડૂતોએ તેમને આગાહી બંધ ના કરવા સમજાવ્યા હતા. જે બાદ આજે તેમણે ખેડૂતો અને સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને ફરીથી હવામાન અંગે આગાહી કરતાં રહેશે તેમ જણાવ્યું હતુ.
આ સાથે જ અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ હવામાનની આગાહી કરવા બદલ કોઈ ફી કે રૂપિયા લેતા નથી. આમ છતાં લોકો મારી આગાહી પર વિશ્વાસ કરે કે ના કરે, તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે.
