લોકડાઉનનો માર ઝેલી રહેલા ગરીબ મજૂરો નોઈડા-ગાઝિયાબાદમાં યુપીની બોર્ડર પર ફસાયેલા છે. મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 1000 બસો દોડાવવાનો પ્રસ્તાવ યોગી સરકારને મોકલ્યો હતો.
યોગી સરકારે તેની મંજૂરી આપી અને બસની પૂરી સૂચિ માંગી. આ સૂચિના આધારે યોગી સરકાર તરફથી કહેવાયું કે લિસ્ટમાં સામેલ બસોના નંબર ટુ વ્હીલર અને થ્રી વ્હીલરના પણ છે. આ વિવાદ બાદ કોંગ્રેસ કહે છે કે જે બસો સરકારની તપાસમાં યોગ્ય નીકળી હોય તેનો જ ઉપયોગ મજૂરોને લેવા લઈ જવા માટે કરવામાં આવે. આ બધા વચ્ચે મંગળવારે આગરામાં યુપીના કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુને અટકાયતમાં લેવામાં આવ્યાં.
અદિતિ સિંહે ટ્વીટ કરીને લખ્યું કે ‘ઈમરજન્સી સમયે આવા નીચલી કક્ષાના રાજકારણની શું જરૂર, એક હજાર બસોની સૂચિ મોકલી, તેમાંથી અડધા કરતા વધુ બસોનો ફર્જીવાડો, 297 કબાડ બસો, 98 ઓટો રિક્ષા અને એમ્બ્યુલન્સ જેવી ગાડીઓ, 68 વાહનો કાગળો વગરના, આ કેવી ક્રૂર મજાક છે.
જો બસો હતી તો રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્રમાં કેમ ન મોકલી?’ અત્રે જણાવવાનું કે અદિતિ સિંહ લાંબા સમયથી કોંગ્રેસ સામે આકરો બળાપો કાઢતા આવ્યાં છે. ગત વર્ષે પાર્ટીના વ્હિપનો ભંગ કરીને તેઓ વિધાનસભાના વિશેષ સત્રમાં સામેલ થવા માટે પહોંચ્યા હતાં. ત્યારબાદ તેમને પાર્ટી તરફથી કારણ બતાવો નોટિસ પણ આપવામાં આવી હતી. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મુદ્દે પણ અદિતિએ કોંગ્રેસથી અલગ પક્ષ રજૂ કર્યો હતો. હાલમાં જ કોરોના વોરિયર્સ માટે પીએમ મોદીની અપીલ પર તેમણે પણ દીવા પ્રગટાવ્યા હતાં.

1 ટિપ્પણી