પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હિંસાનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. જેમાં મમતા બેનર્જીને હરાવનાર ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ઘાતકી હત્યા કરવામાં આવી છે. અજાણ્યા હુમલાખોરોએ આ હિંસક હુમલાને અંજામ આપીને સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુવેન્દુ અધિકારીના અંગત સચિવ ચંદ્રનાથ રથ પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં હુમલાખોરોએ તેમના પર ત્રણ રાઉન્ડ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં એક ગોળી તેમના માથામાં, બીજી છાતીમાં અને ત્રીજી પગમાં વાગી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ શરૂ થયેલી આ હિંસાને કારણે રાજકીય વાતાવરણ ઉગ્ર બન્યું છે. ચંદ્રનાથ રથની હત્યા કરનારા હુમલાખોરો કોણ હતા અને તેમની પાછળનો હેતુ શું હતો, તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
