પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામોમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ બંગાળના રાજકારણમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા શરૂ
થયો છે.
સામાન્ય રીતે હાર બાદ મુખ્યમંત્રી નૈતિક જવાબદારી સ્વીકારીને રાજ્યપાલને રાજીનામું સોંપતા હોય છે, પરંતુ મમતા બેનર્જીએ “અમી, રાજીનામું ના આપો” (હું રાજીનામું નહીં આપું) કહીને રાજ્યપાલને ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ હઠાગ્રહને કારણે રાજ્યમાં ગંભીર બંધારણીય કટોકટી ઉભી થઈ છે.
જોકે, બંધારણીય નિષ્ણાતોનું કહેવું છે કે કોઈ પણ મુખ્યમંત્રી બહુમતી ગુમાવ્યા બાદ મનસ્વી રીતે પદ પર ટકી રહી શકતા નથી, કારણ કે સત્તાનો સ્ત્રોત જનતાનો જનાદેશ છે.
ભારતીય બંધારણની કલમ 164 મુજબ, મુખ્યમંત્રી રાજ્યપાલની ‘ખુશી’ હોય ત્યાં સુધી જ પદ પર રહી શકે છે. અહીં ‘ખુશી’નો અર્થ એ છે કે જ્યાં સુધી તેમની પાસે વિધાનસભામાં બહુમતી હોય. જો મમતા બેનર્જી રાજીનામું આપવાનો ઈનકાર કરે, તો રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ પાસે તેમને બરતરફ કરવાની સત્તા છે. એકવાર ચૂંટણી પંચ સત્તાવાર પરિણામોનું ગેઝેટ બહાર પાડે, ત્યારબાદ રાજ્યપાલ સૌથી મોટા પક્ષ (ભાજપ) ને સરકાર બનાવવા માટે આમંત્રિત કરશે. આ પ્રક્રિયામાં વર્તમાન મુખ્યમંત્રીનો ઈનકાર કોઈ કાનૂની અવરોધ પેદા કરી શકશે નહીં, કારણ કે નવી વિધાનસભાની રચના સાથે જ જૂની સરકારનો ટેકનિકલ આધાર ખતમ થઈ જાય છે.
જો સ્થિતિ વધુ વણસે અને મમતા બેનર્જી ભૌતિક રીતે પદ ખાલી ન કરે, તો બંધારણીય જોગવાઈઓ મુજબ સુરક્ષા દળોની મદદ પણ લઈ શકાય છે. ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ મુખ્યમંત્રીએ આવી જિદ્દ કરી નથી, જે લોકશાહીના મૂલ્યોની વિરુદ્ધ છે. 7 મે, 2026 ના રોજ વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, તેથી તે તારીખ પછી ‘દીદી’ પાસે કાર્યકારી મુખ્યમંત્રી તરીકે રહેવાનો પણ હક છીનવાઈ જશે.
