ચાંદલોડિયા વિસ્તારમાં ઋતુરાજ સોસાયટીમાં રહેતા જિનલ યાદવના દાદી મંજુલાબેન મનસુખભાઇ યાદવ (ઉં 75)ને ગત તા. 10-12-2020ના રોજ 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કોવિડ 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મંજુલાબેનનું સારવાર દરમિયાન ગત તા.15-12- 2020ના રોજ નિધન થયું હતું. તેઓની અંતિમક્રિયા સરકારી નિયમ મુજબ પુરી કરવામાં આવી હતી. તે સમયે સિવિલના અધિકારીએ જિનલભાઈને એક પહોંચ આપી જણાવ્યું હતું કે, તમે આ પહોંચ સિવિલ ઓપીડીમાં જમા કરાવશો એટલે તમને તમારા દાદી મંજુલાબેનનું ડેથ સર્ટી મળી જશે.
જિનલભાઈએ પહોંચ લઈ ડેથ સર્ટી માટે ઓપીડીમાં ગયા તો ત્યાં હાજર કર્મચારીએ પછી આવો તેવો જવાબ આપ્યો હતો. ફરીવાર જિનલભાઈ ગયા તો કર્મચારીએ તેઓને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના રેકર્ડ વિભાગમાં મોકલ્યા ત્યાં પણ પછી આવો તેવો જવાબ આપ્યો હતો.
સતત ધક્કા ખાઈ થાકી ચૂકેલા જિનલભાઈને રેકર્ડ વિભાગના સુપરવાઈઝર હિમાંશુ પટેલે ગત શનિવારે જણાવ્યું કે, તમારા દાદીની ફાઈલ મળતી નથી. ફાઈલ મળે તો અમે સિસ્ટમમાં એન્ટ્રી કરીએ પછી ડેથ સર્ટી ઇસ્યુ થઈ શકે છે.
દોઢ માસમાં 15થી વધુ ધક્કા ખાઈ રઝળપાટ કરતા જિનલ યાદવે હજુ પણ દાદીનું ડેથ સર્ટી મળ્યું નથી. જિનલ યાદવ તેમના દાદીને સિવિલ કોવિડ હોસ્પિલમાં દાખલ કર્યાના અને ડેથ થયાના તમામ પુરાવા છે. તેમ છતાં પણ હોસ્પિટલ સત્તાવાળાને નવી ફાઈલ બનાવી વ્યક્તિને ધક્કા ખવડાવવાની જગ્યાએ ડેથ સર્ટી ઇસ્યુ કરવાની જ્ઞાન થતું નથી.
મંજુલાબેનને કોવિડમાં દાખલ કર્યા તેનો કેસ પેપર, ડોમમાં બેસવાના પાસની નકલ, ડેથ સ્લીપ, ડૉ. જલ્પા કલજરીયાની વોર્ડમાં ડ્યૂટી વખતે મંજુલાબહેનનું ડેથ થયાની રસીદ આટલા પુરાવા જિનલ યાદવ પાસે હોવા છતાં ડેથ સર્ટી આપવા ધક્કા ખવડાવી રહ્યા છે
