ગુજરાત હાઇકોર્ટના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સ્થિતિ લોકડાઉન લાગુ પડે તેવી ઉભી થઇ છે અને સ્થિતિ દિવસેને દિવસે ચિંતાજનક બની રહી છે ત્યારે આવા કડક પગલા લેવા જરૂરી છે.
હાઇકોર્ટે જણાવ્યું છે કે હાલની સ્થિતિ કફર્યુ લાદવા જેવી છે અને કોરોનાને અટકાવવા નક્કર પગલા લેવા પણ જરૂરી છે. હાઇકોર્ટે રાજકીય મેળાવડા બંધ કરવા, જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા તથા કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું જરૂરી હોવાનું કહયું હતું.
ગુજરાતમાં સતત કેસ વધી રહયા છે ત્યારે હાઇકોર્ટે આવો નિર્દેશ આપ્યો છે. રાજય સરકારને કડક કાર્યવાહી કરવા અને કોરોનાને રોકવા જરૂરી પગલા લેવા પણ નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠે આદેશ આપ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજય સરકાર દોડતી થઇ છે અને હાઇકોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ કોઇ નિર્ણય લેવાશે તેવું જાહેર થયું છે. રાજય સરકારની કોર કમીટીની મીટીંગ સાંજ સુધીમાં મળશે અને કોઇ નિર્ણય લેશે તેવું જણાય છે.
