અમદાવાદમાં મેઘાણીનગરના બાબુસીંગની ચાલીમાં રહેતા રાજુભાઈ રાઠોડ તેમની પત્ની જ્યોતીબેન બે દીકરી સાથે રહે છે. રાજુભાઈના લગ્ન 2016માં થયા હતા. રાજુભાઈ મધ્યપ્રદેશથી અમદાવાદ આવ્યા હતા ત્યારે રીકુ વર્મા સાથે મુલાકાત થઈ હતી અને રીકુએ રાજુભાઈને ચાંગોદર પાસેના એક ગામમાં આવેલી ફેક્ટરીમાં નોકરી આપાવી હતી. ત્યારબાદ રીકુ રાજુભાઈના ઘરે અવાર નવાર આવવા લાગ્યો હતો. દરમિયાન એક દિવસ રાજુભાઈને તેમની પત્ની જ્યોતી અને રીકુ વચ્ચેના આડા સંબંધ હોવાની શંકા ગઈ હતી. જેથી તેમણે તપાસ કરતા બંન્ને વચ્ચે આડા સંબંધ હોવાનું જાણવા મળ્યુ હતુ.
રાજુભાઈએ રીંકુને આ અંગેની જાણ કરી તો રીકું સંબંધ તોડવાની ના પાડતો હતો. જેથી રાજુભાઈએ તેમની પત્ની જ્યોતીને સમજાવી હતી ત્યારે જ્યોતીએ કહ્યુ હતુ કે, રીકુ વર્મા જબરજસ્તીથી સંબંધ રાખવા દબાણ કરે છે અને કહે છે કે હું તને ખુબ જ પ્રેમ કરુ છું એટલે તુ મારી જોડે સંબંધ નહી રાખે તો હું મરી જઈશ તેમ કહીને સબંધ રાખવા દબાણ કરે છે. ત્યારબાદ રીકુ વર્મા અને રાજુભાઈ વચ્ચે માથાકુટ પણ થઈ હતી.
જો કે બુઘવારના સમયે રીકુ રાજુભાઈના ઘરે આવ્યો હતો. બીજી બાજુ રાજુભાઈને નોકરી જવાનું હોવાથી તે ઘરમાંથી નિકળી ગયા હતા. બપોરના સમયે રાજુભાઈએ તેમની પત્ની જ્યોતીને ફોન કર્યો તો ફોન ઉપાડ્યો ન હતો. જેથી રીકુને પણ ફોન કર્યો તેમ છતા તેણે પણ ફોન ઉપાડ્યો ન હતો. આથી રાજુભાઈ તેમના ઘરે ગયા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને રીકુ તથા તેમની પત્નીએ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ જોઈને રાજુભાઈએ પોલીસને જાણ કરી હતી.
મેઘાણીનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી બંન્નેના મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ હાથધરી હતી. બીજી બાજુ જ્યોતીના પતિ રાજુભાઈએ મૃતક રીકુના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.
