અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક શહેરો અને વિસ્તારોમાં રવિવારે રાત્રે ૮:૧૫ના સુમારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમદાવાદ સહિત રાજકોટ અને અંજારમાંથી મળતા અહેવાલો પ્રમાણે ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર ધસી આવ્યા હતા.
અમદાવાદમાં ગોતા સહિતના વિસ્તારોમાં કેટલાક ફ્લેટોમાંથી લોકો ઘર નીચે દોડી આવ્યા હતા.કોરોના સંકટમાં આવેલી નવી આફતથી લોકો અત્યંત હાંફળાફાંફળા બની ગયા હતા. પ્રાથમિક અહેવાલો પ્રમાણે ભૂકંપની તીવ્રતા ૫.૮ની હતી. અમદાવાદમાં વસ્ત્રાપુર, થલતેજ, પાલડી, ગોતા, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં સાંજે લોકો ઘરમાં બેઠા હતા ત્યારે જ આંચકો અનુભવાયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા ઘરો થી બહાર દોડી આવ્યા હતા. કેટલાક લોકો પહેલાં શું થયું તે સમજી શક્યા નહોતા પણ આ સમાચાર સોશિયલ મીડિયામાં ફેલાઈ ગયા હતા. તે પછી વિવિધ વિસ્તારોમાં આંચકો અનુભવાયો કરાયા હોવાનું બહાર આવ્યું હતું.
અહેવાલો પ્રમાણે રાજકોટથી ૧૧૮ કિમી દૂર ભચાઉ એરિયામાં નોર્થનોર્થવેસ્ટમાં ૧૦ કિમી નીચે આંચકાનું કેન્દ્રબિંદુ હતું. ભચાઉ સામખિયાળી વચ્ચે વાંઢ પાસે સ્ટેટ હાઈવે પાસે ભૂકંપનું કેન્દ્રસ્થાન હોવાનું કહેવાય છે. સિસ્મોગ્રાફ પર નોંધાયેલા સમય પ્રમાણે રાત્રે ૮. ૧૩ કલાક અને આઠમી સેકન્ડે આ આંચકો અનુભવાયો હતો. જુનાગઢમાં પણ આંચકા આવ્યા હતા. રિપોર્ટ પ્રમાણે કેટલીક ઈમારતોમાં તિરાડો પણ પડી ગઈ છે. ભૂકંપ આવ્યા બાદ લોકોમાં એક તરફ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. એક તરફ કોરોના માહામારી ચાલી રહી છે. ત્યારે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભારે ડરનો માહોલ સજાર્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી ૧૧૮ કિમી દૂર ભચાઉ એરિયામાં નોંધાયુ હતું. ત્યારે લોકોને અફવાઓથી દુર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
