ભાજપમાં જોડતા પહેલા હાર્દિક પટેલે પોતાના નિવાસ સ્થાને દુર્ગા પુજા કરી હતી. તો સાથે ગાય માતાનું પણ પૂજન કર્યું હતું. અને બદ્મ ઢોલ નગારા અને પોતાના સમર્થકો સાથે ભાજપ કાર્યાલય તરફ પ્રયાણ આદર્યું હતું. કમલમ ખાતે હાર્દિક પટેલ માટે ખાસ મંડપ અને સ્ટેજ બનાવાયા હતા. તો સાથે કમલમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાર્દિક પટેલના સ્વાગત માટે ગાંધી નગર સ્થિત ભાજપ કાર્યાલયની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં હાર્દિક પટેલને દેશભક્ત ગણાવ્યો હતો.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ દ્વારા ખેસ અને નિતિન પટેલ દ્વારા ટોપી પહેરવીને હાર્દિકને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. વિજય મુહૂર્તમાં પાટિલ દ્વારા હાર્દિકને ભાજપમાં પ્રવેશ કરાવ્યો છે. ૧૫૦૦૦ જેટલા હાર્દિક પટેલના સમર્થકો આ પ્રસંગે કમલમ ખાતે હાજર રહ્યા હતા. તો સમર્થકો દ્વારા હાર્દિક પટેલ પર ફૂલોની વર્ષા કરી કમલમમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો સ્ટેજ પર સી આર પાટિલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, રજનિ પટેલ, ઋત્વિજ પટેલ સાથે નૌતમ સ્વામી સહિત અનેક સંતો મહંતો પણ હાજર રહ્યા હતા. અને હાર્દિક પટેલે સંતો ને પગે લાગી આશીર્વાદ પણ લીધા હતા.
પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ, વજુભાઈ તેમજ તેજશ્રી બેન પણ સ્ટેજ પર બોલવ્યા હતા. પ્રદેશ નેતાઓએ નૌતમ સ્વામી, સહિતના સંતોનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. હાર્દિક પટેલ અને સી.આર. પાટીલે નીતિનભાઈને પુસ્તક આપી સ્વાગત કર્યું હતું.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનથી પાટીદારોનો યુવા ચહેરો બનેલા હાર્દિક પટેલે પછી કોંગ્રેસમાં એન્ટ્રી લીધી હતી પરંતુ આંતરિક વિખવાદમાં પખવાડિયા પૂર્વે કોંગ્રેસને રામ-રામ કરી દીધા હતા. હવે તેઓ ભાજપમાં જોડાયા છે. કમલમ ખાતે હાર્દિક પટેલને કેસરિયો ખેસ પહેરાવામાં આવ્યો હતો. આ સાથે જ હાર્દિક પટેલની રાજકીય ઇનિંગ નો ત્રીજો અધ્યાય શરૂ થયો છે
હાર્દિકના ભાજપમાં જોડતા પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાયા તેમનો પણ સી આર પાટિલ દ્વારા કેસરિયો ખેસ પહેરવીને ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે બંને માટે અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપનો ભાગ બનતા પહેલા જ પોતાની યોજના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, તેઓ ‘નારાજ’ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કોંગ્રેસ સાથે લાંબી નારાજગી બાદ તેમણે સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ એક સંદેશ લખ્યો હતો. અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતા પટેલે કહ્યું હતું કે, ‘આજે હું એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છું. હું નાના સૈનિક તરીકે કામ કરીશ. અમે દર ૧૦ દિવસે એક કાર્યક્રમ કરીશું, જેમાં કોંગ્રેસથી નારાજ ધારાસભ્યો સહિતના ધારાસભ્યોને ભાજપમાં જોડાવા માટે કહેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વનું ગૌરવ છે.’
હું કોંગ્રેસથી દુખી થયો હતો તેથી મે તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું. તો બીજી તરફ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હું પક્ષનો સામાન્ય કાર્યકર બનીને કામ કરવા તૈયાર છું. જયારે કેન્દ્રની મોદી સરકારે કલમ ૩૭૦ હટાવી તે દરમ્યાન મેં સમર્થન કર્યું હતું. જયારે મે રાજીનામું લખ્યું ત્યારે લોકો સતત કહેતા રહેતા હતા કે આ રાજીનામું કમલમમાંથી લખવામાં આવ્યું છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અનેપૂર્વ પ્રમુખે રામ મંદિર બાબતે વિવાદિત નિવેદન કર્યું તે પણ ખોટું હતું.આનંદી બેને જયારે માંડલ માંથી ચૂંટણી લડી તે સમયે મારા પિતા તેમની સાથે જ હતા.
હાર્દિક પટેલે ભાજપમાં વિધિવત રીતે એન્ટ્રી માર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ દ્વારા પાટીદાર આંદોલનને લઇને મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘પાટીદાર આંદોલન સમયે જે યુવાનોના મૃત્યુ થયા હતા તે યુવાનોને પૂરી મદદ થાય તે માટેના પૂરા પ્રયાસ કરીશું. જયાં સુધી તે મદદ પૂર્ણ ન થાય ત્યાં સુધી મારી સાથેના અન્ય ત્રણ મિત્રોએ સાથે મળીને નક્કી કર્યું છે કે, આવતા ૨ મહિનાની અંદર એ જે શહીદ પરિવારો હતા તેના પરિવારના તમામ યુવાનોને વૈકલ્પિક ધોરણે નોકરીની વ્યવસ્થા અમે લોકો આવતા ૨ મહિનાની અંદર કરી આપીશું.’
વધુમાં કહ્યું કે, ‘માનનીય રાજય સરકારના મુખ્યમંત્રી સાહેબને અને અન્ય મંત્રીઓને પણ અમે વિનંતી કરીશું કે આ પરિવારોએ રાજયના હિત માટે, સમાજના હિત માટે સારું કામ કર્યું હતું આથી તેમને જેટલી પણ મદદ થાય તેટલી સરકારે સંપૂર્ણપણે મદદ કરી છે. તે ૧૦ ટકા અનામત હોય, આનંદીબેનની ૧ હજાર કરોડ નિવાસ સ્વાવલંબન યોજના હોય તે તમામ પ્રયાસ સરકારે કર્યા છે. પણ અમુક લોકો જે કોંગ્રેસના ખોળામાં બેસીને સમાજના નામે જે રાજકારણ કરે છે. સમાજના નામે જે લોકોને ગુમરાહ કરે છે એવાં લોકોને જવાબ આપવા માટે મે આ વાત કરી છે.’
હાર્દિક પટેલે ભાજપમાં જોડાતા પહેલા કમલમ્ સુધીના રસ્તામાં જોરદાર શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. હાર્દિક પટેલના સ્વાગતમાં કમલમથી ગાંધીનગર તરફ અને અમદાવાદ તરફ જતા રોડ પર પોસ્ટર્સ લગાવીને તેને આવકાર આપવામાં આવ્યો હતો. પોસ્ટર્સમાં હાર્દિકને રાષ્ટ્રપ્રેમી યુવા નેતા ગણાવવામાં આવ્યો છે. અન્ય એક પોસ્ટરમાં હાર્દિકને યુવા હૃદય સમ્રાટ ગણાવવામાં આવ્યો હતો.
