અષાઢ મહિનાની વદ એકાદશીને ‘કામિકા એકાદશી’ કહેવામાં આવે છે. આ ખાસ દિવસે શંખ, ચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે. ભીષ્મ પિતામહે પણ નારદજીને આ એકાદશીનું મહત્વ બતાવ્યું છે. ભીષ્મ પિતામહે કહ્યું હતું કે, આ એકાદશી પર જે ભક્તો ભગવાન વિષ્ણુની પૂજા ધૂપ, દીવા, નૈવેદ્ય વગેરેથી કરે છે તેમને ગંગા સ્નાનના ફળથી પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીની વાર્તા સાંભળીને જ એ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે.
ભીષ્મ પિતામહ કહે છે કે વ્યાતિપાત યોગમાં ગંડકી નદીમાં અને સુર્ય-ચંદ્ર ગ્રહણ દરમિયાન સ્નાન કરવાથી જેટલું પુણ્ય મળે છે તેટલું પુણ્ય કામિકા એકાદશી પર ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરીને પ્રાપ્ત થાય છે. આ દિવસે, તુલસી પત્રથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
ઉપવાસ કરવાથી ગૌ દાનનું પુણ્ય મળે છે
પિતામહે કહ્યું હતું કે, જો તમે આખા વર્ષ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરી શકતા નથી, તો તમારે કામિકા એકાદશી પર ઉપવાસ અચૂક કરવો જોઈએ. આ વાછરડાની સાથે ગૌદાન કરવા જેટલું પુણ્ય આપે છે. આ એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી તમામ દેવતાઓ, નાગ અને પિતૃઓની પૂજા થાય છે. જેનાથી તમામ પ્રકારના રોગો, દુ:ખ, ખામી અને પાપો દૂર થઈ જાય છે.
કામિકા એકાદશીના ઉપવાસ અંગે ભગવાન ખુદે જણાવ્યું છે કે, મનુષ્યોને આધ્યાત્મિકતાથી જે પુણ્ય મળે છે તેનાથી અનેક ગણુ પુણ્ય કામિકા એકાદશીના ઉપવાસથી મળે છે. આ દિવસે ઉપવાસ કરવાથી માણસને યમરાજના દર્શન નથી થતા અને સ્વર્ગ મળે છે.
દીવાના દાનથી પુણ્ય મળે છે
ભીષ્મ પિતામહે નારદજીને કહ્યું હતું કે, કામિકા એકાદશીની રાતે જાગરણ અને દીવાનું દાન કરવાથી જે પુણ્ય મળે છે તે લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. એકાદશીએ ભગવાન વિષ્ણુની સામે ઘી કે તલના તેલનો દીવો અચૂક કરવો જોઈએ.
