હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન સરકાર દ્વારા રાજ્યમાં સિંહોની મૃત્યુ મામલે માહિતી આપવામાં આવી છે. રાજ્ય સરકારે ગૃહમાં સ્વીકાર્યું છે કે વર્ષ 2022-23માં કુલ 89 સિંહોના કુદરતી મૃત્યુ થયા, જ્યારે 11 સિંહોના અકુદરતી મોત થયા છે. જણાવી દઈએ કે, કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા રાજ્યમાં સિંહોના મૃત્યુ અંગેના આંકડા રજૂ કરવા સરકારને સવાલ પૂછ્યો હતો.
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા સત્ર દરમિયાન વિપક્ષના સવાલોનો વન અને પર્યાવરણ મંત્રીએ જવાબ આપ્યો હતો. વનમંત્રીએ ગૃહમાં સ્વીકાર્યું હતું કે, વર્ષ 2022-23માં કુલ 89 સિંહોના કુદરતી રીતે મોત થયા છે, જ્યારે 11 સિંહનું અકુદરતી મૃત્યું થયું છે. જ્યારે વર્ષ 2021-22માં 113 સિંહોના કુદરતી મૃત્યુ થયા છે, જ્યારે 16 સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયા છે. આ પહેલા વર્ષ 2020-2021માં કુલ 123 સિંહોના કુદરતી મૃત્યુ થયા છે, જ્યારે 2020-21માં કુલ 14 સિંહોના અકુદરતી રીતે મોત થયા છે. આમ છેલ્લા 3 વર્ષમાં 325 સિંહોના કુદરતી રીતે જ્યારે 41 સિંહના અકુદરતી રીતે મોત નીપજ્યા છે.
10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી
જણાવી દઈએ કે, એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે. વન વિભાગ દ્વારા દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહની વસ્તી સૌથી વધુ હોવાનું કહેવાય છે. ત્યાર ગૃહમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સિંહના મૃત્યુના આંકડા દર્શાવે છે કે, છેલ્લા 3 વર્ષમાં સિંહના મૃત્યુના સરેરાશ દરમાં ઘટાડો થયો છે.
