અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળ પાસે એક મકાન ધરાશાયી થયું છે. માણેકચોકમાં મકાન ધરાશાયી થતા લોકોમાં નાસભાગ જોવા મળી હતી. ભરચક વિસ્તારમાં મકાન ધરાશાયી થયાના સમાચાર મળતાની સાથે જ ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને નીચે દટાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.
અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં 2 લોકો દટાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ફાયરની ટીમ સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. હાલમાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
અચાનક મકાન ધરાશાયી થતા પડોશીઓ મેદાનમાં આવી ગયા
અમદાવાદની પોળોમાં અનેક મકાનો વર્ષોથી બનેલા છે, જે જર્જરિત થતા મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. અહીં માણેકચોકની પોળમાં મકાન ધરાશાયી થતા બે લોકો ફસાયા હોવાનું અનુમાન છે. ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થતા તેની બાજુના મકાનોમાં રહેતા લોકો પણ તાત્કાલિક મકાન ખાલી કરીને નીચે મેદાનમાં આવી ગયા હતા.
પોલીસ આ ઘટના અંગે કરશે તપાસ
અચાનક ત્રણ માળનું મકાન ધરાશાયી થતા તંત્ર તેની તપાસ કરશે કે મકાન જર્જરિત હોવાથી ધરાશાયી થયું છે કે કોઈ શખ્સ દ્વારા ઇરાદાપૂર્વક આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
