કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર સંસદમાં હોબાળો ચાલુ છે. સંસદમાં સતત ચોથા દિવસે પણ કોઈ કામકાજ થઈ શક્યું નથી. આજે પણ લોકસભા અને રાજ્યસભાની બેઠક બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. શાસક પક્ષ અને વિપક્ષ પોતપોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ સાથે જ વિપક્ષી દળોએ પણ બેઠક યોજીને પોતાની રણનીતિ નક્કી કરી હતી. વિપક્ષના સાંસદોએ તેમની માંગ માટે થોડા જ સમયમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે માનવ સાંકળ બનાવી.
રાહુલની ટિપ્પણી, અદાણી સાથે જોડાયેલા મુદ્દા પર લોકસભામાં હોબાળો
ભારતના લોકતંત્ર વિશે લંડનમાં રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપના સભ્યોએ લોકસભામાં હોબાળો મચાવ્યો અને કોંગ્રેસ સહિત કેટલાક વિરોધ પક્ષોએ અદાણી જૂથ સાથે સંબંધિત મામલાની JPC તપાસની માંગ કરી. હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી શરુ થયાની લગભગ 5 મિનિટ પછી જ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પોડિયમની નજીક સૂત્રોચ્ચાર કરી રહેલા વિપક્ષી સભ્યોને તેમના સ્થાનો પર જવા અને શાસક પક્ષના સભ્યોને શાંત થવાની અપીલ કરી.
બિરલાએ કહ્યું, “હું ગૃહ ચલાવવા માંગુ છું. હું તમને (વિપક્ષ)ને પણ તમારી જગ્યા પર બેસવાનું કહીશ અને તેમને (શાસક પક્ષ)ને પણ બેસવાનું કહીશ.” તેમણે કહ્યું કે સંસદની ગરિમા છે અને “આપણે સંસદની ગરિમા જાળવીએ”. પરંતુ સ્પીકર બિરલાએ કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.
રાજ્યસભા શરૂ થતાની સાથે જ સ્થગિત કરી દેવાઈ
હોબાળાને કારણે, રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયા પછી તરત જ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. સવારે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ અધ્યક્ષ જગદીપ ધનખર પોડિયમ પર બેસે તે પહેલાં જ તૃણમૂલ કોંગ્રેસના સભ્યો કાળી પટ્ટી પહેરીને પોડિયમની નજીક બંને બાજુ ઉભા થઈ ગયા. તૃણમૂલ કોંગ્રેસના સભ્યો વિરોધ કરી રહ્યા હતા કે તેમને બોલવા દેવામાં આવી રહ્યા નથી. આ દરમિયાન વિપક્ષના અન્ય સભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા જ્યારે શાસક પક્ષના સભ્યો રાહુલ ગાંધીની માફીની માંગ કરી રહ્યા હતા. ધનખરે પોડિયમની નજીક તૃણમૂલ કોંગ્રેસના સભ્યોને તેમની બેઠકો પર પાછા ફરવા વિનંતી કરી, પરંતુ તેઓએ વાતને કાને ના ધરી. અધ્યક્ષે આ સભ્યો સામે પગલાં લેવાની ચેતવણી પણ આપી, પરંતુ કોઈ અસર ન થતી જોઈને તેમણે સભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.
નોંધનીય છે કે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆતથી જ શાસક પક્ષના સભ્યોએ ભારતીય લોકશાહી અંગે કરેલી ટિપ્પણી માટે લંડનમાં રાહુલ ગાંધી પાસેથી માફી માંગવાની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસે ભૂતકાળમાં વિદેશ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારત વિશે કરેલી ટિપ્પણીને ટાંકીને ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે.
