પોરબંદરમાં લીમડાચોક શાક માર્કેટ ખાતે વેપારીઓ માટે બાકડા વ્યવસ્થા અને છતની સુવિધા નથી જેથી વેપારીઓ તથા ગ્રાહકોને મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદરના હદય સમા વિસ્તારમાં લીમડાચોક શાક માર્કેટ આવેલ છે અને આ શાક માર્કેટ ખાતે 100 જેટલા વેપારીઓ શાક બકાલાનો વેપાર કરે છે. આ શાક માર્કેટ ખાતે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે અને સવાર થી સાંજ સુધી ઘરાકી રહે છે ત્યારે આ શાક માર્કેટ ખાતે તંત્ર દ્વારા કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી.
અહી ધંધાર્થીઓ માટે બાકડા પણ નથી જેથી નીચે પાથરી ને શાકભાજી રાખવા પડે છે તો બીજી તરફ અહી છત પણ નથી જેથી ખુલ્લામાં શાકભાજી વેચવા પડે છે. આકરા તાપ વચ્ચે વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલી અનુભવે છે તો ચોમાસા દરમ્યાન પણ વરસાદી પાણી પડે છે. આવા સંજોગોમાં વેપારીઓ અંગે ગ્રાહકોને હાલાકી ભોગવવી પડે છે. ધંધાર્થીઓ છત ન હોવાથી પોત પોતાની જગ્યા ઉપર કાપડ અથવા પ્લાસ્ટિક બાંધ્યા છે.
બાંકડા ન હોવાને કારણે ગ્રાહકોને નીચે વાંકું વળીને શાક બકાલું ખરીદ કરવું પડે છે તો અહી રઝળતા ઢોર પણ ઘૂસી જાય છે. ત્યારે આ શાક માર્કેટ ખાતે બાકડા અને છત સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અશ્વિનભાઈ મોતીવરસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
