March 10, 2026
જીવનશૈલી

૧૩ ઓગસ્ટ – વિશ્વ અંગ દાન દિવસ: રાજકોટમાં પહેલું અંગદાન ૨૦૦૬ માં થયેલું, અત્યાર સુધીમાં કુલ ૧૦૮ અંગદાન

લોહીની જેમ માનવ અંગો પણ કૃત્રિમ રીતે વિકસાવી શકાતા નથી. હૃદય, કિડની, લીવર, ફેફસા સહિતના અંગોની ભારતમાં એક લાખથી વધુ લોકોને હાલ તાતી જરૂરિયાત છે. એક માણસના અંગદાનથી પાંચ લોકોની જીંદગી બચાવી શકાય છે, ત્યારે ઓર્ગન ડોનેશનની જાગૃતિ અર્થે આગામી ૧૩ ઓગસ્ટ વિશ્વ અંગ દાન દિવસ ”ડોનેટ ઓર્ગન – સેવ લાઈફ” ની થીમ સાથે ઉજવવામાં આવશે. રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા સાથે સંકળાયેલા ગોકુલ હોસ્પિટલના ડો. તેજસ કરમટાએ અંગદાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં પહેલું અંગદાન વર્ષ ૨૦૦૬ માં થયેલું, હાલ સુધીમાં ૧૦૮ અંગદાન થયેલા છે. અંગદાન અંગે સમયાંતરે જે રીતે જરૂરિયાત ઉભી થઈ રહી છે તેને અનુલક્ષીને બહોળા પ્રમાણમાં જન જાગૃતિની જરૂરિયાત રહેલી હોઈ વર્ષ ૨૦૧૮ માં ડો. દીવ્યેશ વિરોજા (બી.ટી. સવાણી હોસ્પિટલ), ડો. સંકલ્પ વણઝારા (સ્ટર્લિંગ હોસ્પિટલ) ડો તેજસ કરમટા( ગોકુલ હોસપીટલ) સાથે સામાજિક કાર્યકરો વિક્રમભાઈ જૈન, નીતિનભાઈ ઘાટોલીયા, ભાવનાબેન માંડલિક અને મિત્તલભાઈ ખેતાણીએ સાથે મળી ફાઉન્ડેશન ઉભું કર્યું. ડો. તેજસ કરમટા અંગદાનની ભૂમિકા અંગે જણાવતા કહે છે કે, આજથી ૨૦ વર્ષ પહેલા ફક્ત ચક્ષુદાન થતું. હવે હૃદય, કિડની, લીવર, ફેફસા જેવા અવયવો ઉપરાંત ચામડી, હાડકા ઉપરાંત આખા હાથનું પણ દાન શક્ય છે. સૌથી વધુ જરૂરિયાત હૃદય અને કિડનીની હોય છે. આજની સ્થિતિએ ભારતમાં એક લાખ લોકોને અવયવોની જરૂરિયાત રહેલી હોઈ વધુ ને વધુ લોકો આ અભિયાનમાં જોડાય તેવું ડો. કરમટાએ અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે હાલ ૨૦ હજારથી વધુ લોકો અમારા પ્રોગ્રામ થકી અંગદાન માટે જોડાયા છે. રાજકોટના જાણીતા હાર્ટ સ્પેશિયલિસ્ટ ડો. રાજેશ તેલીના જણાવ્યા મુજબ અંગદાન માટે માત્ર લોકોમાં જ નહીં પરંતુ ડોક્ટર કક્ષાએ પણ જાગૃતિ જરૂરી છે. મહાનગરોને બાદ કરતા અન્ય શહેરમાં જયારે અકસ્માત કે બ્રેઈન સ્ટ્રોક, હાર્ટ સ્ટ્રોક કે હાઈપર ટેન્શન જેવી સ્થિતમાં બ્રેઈન ડેડ થકી કોમાની પરિસ્થિતમાં આવતા દર્દીઓના ૬ કલાક કે તેથી વધુ સમય બાદ અન્ય અંગો કામ કરતા બંધ થઈ જાય છે. તેવી પરિસ્થિતિમાં કન્સલ્ટેશન દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે યોગ્ય સમયમાં સમજાવવા જરૂરી છે. અંગદાન માટે નજીકની સંસ્થાનો સંપર્ક કરી માર્ગદર્શિકા મુજબ દાન થઇ શકે તેવા અંગોને ગ્રીન કોરિડોર થકી એર લિફ્ટ કરી લઈ જઈ શકાય તેવી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ઉપલબ્ધ હોવી પણ એટલી જ જરૂરી છે. આવનારા સમયમાં દર ચાર વ્યક્તિએ એક ડાયાબિટીસનો દર્દી હોવાની શકયતા છે, અને ડાયાબિટીસના દર્દીઓને કિડની ફેલ્યોરની સંભાવના વધશે. આમ આવનારા સમયમાં હાલ કરતા પણ વધુ લોકોને અંગદાનની જરૂરિયાત ઉભી થશે. વિશ્વના અન્ય દેશો કે જ્યાં ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ નથી તેવા દેશમાંથી આપણને અંગદાન મળે તેવા પ્રયાસો કરવા ડો. તેલીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સાથે રાજ્ય સરકાર સંયુકત રીતે આ અંગે વધુ ને વધુ લોકો જોડાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહયા છે. હાલમાં જ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ અંગદાન અંગે જાગૃતિ વધે તે માટે ખાસ ઓરિએન્ટેશન પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. જેમાં કલેકટર શ્રી પ્રભવ જોશી સહીત રાજકોટ સિવિલના અધિક્ષકશ્રી ત્રિવેદીએ પણ સિવિલ ખાતે અંગદાન વધે તે માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. તાજેતરમાં ૧૩ મા રાષ્ટ્રીય અંગદાન દિવસે ગુજરાતને શ્રેષ્ઠ કામગીરી માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાના હસ્તે અંગદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ સિવિલ હોસ્પિટલને ત્રણ, SOTTO અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટને એવોર્ડ એનાયત કરાયા હતાં. SOTTO ના માર્ગદર્શનમાં રાજ્યમાં પાંચ વર્ષમાં ૧૨૦૭ અંગદાન અને ૩૬૭૩ ટ્રાન્સપ્લાન્ટ થયા છે.

Related posts

રસોડામાં રાખેલ આ એક મસાલો ઝડપથી ઓછી કરે છે ચરબી, સ્થૂળતા ઘટાડવા માટે દરરોજ તેનું પાણી પીવો

Ahmedabad Samay

મગજની શક્તિ નું રહસ્ય ” મગજ ની શક્તિ” ( પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર)

Ahmedabad Samay

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

Ahmedabad Samay

ચહેરા પરની કરચલીઓ અને વૃદ્ધત્વના ચિહ્નોને ઘટાડવામાં મદદરૂપ છે આ 4 ફળ, આજથી જ તમારા આહારમાં સામેલ કરો

Ahmedabad Samay

વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

Ahmedabad Samay

વિજય ની સફર એક રસપ્રદ સક્સેસ સ્ટોરી: લેખક પ્રીતેશ પ્રજાપતિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો