અમદાવાદમાં સવારથી વરસેલા ધોધમાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાતા રસ્તાઓ જળમગ્ન બની ગયા છે. બપોર સુધીમાં શહેરમાં સરેરાશ 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ ખતરો હજુ ટળ્યો નથી. અમદાવાદ પર ચક્રવાતી વાદળો સ્થિર હોવાના કારણે આજ કરતાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. શહેર માટે આગામી ત્રણ દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પશ્ચિમ અમદાવાદના એસ.જી. હાઇવે, સાયન્સ સિટી, થલતેજ અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે ટૂંકા ગાળામાં પડેલા અતિભારે વરસાદને કારણે શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. AMC દ્વારા પાણીનો નિકાલ કરવા માટે ડીવોટરિંગ પંપ અને મેન્યુઅલ ટીમો તૈનાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
આગામી આજે અને 25 જુલાઈએ ઉપરવાસમાંથી સાબરમતી નદીમાં વધુ પાણી આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજના તમામ ગેટ ખોલી દેવામાં આવ્યા છે. નદીનું પાણીનું સ્તર શક્ય તેટલું નીચું રાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી વધારાનું પાણી સમાવી શકાય. આગામી ત્રણ દિવસ રેડ એલર્ટ અને વધુ વરસાદની શક્યતાને પગલે તંત્ર સંપૂર્ણ સતર્ક છે. નાગરિકોને સાવચેતી રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
