ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સોમવારે પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામા પાછળ સ્વાસ્થ્ય સંબંધી કારણો અને તબીબી સલાહને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત દર્શાવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધવામાં આવેલું આ રાજીનામું, બંધારણના અનુચ્છેદ ૬૭(ક) હેઠળ સુપરત કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો
પોતાના રાજીનામા પત્રમાં, ધનખરે રાષ્ટ્રપતિનો તેમના “અડગ સમર્થન” અને તેમના કાર્યકાળ દરમિયાન તેમની વચ્ચે રહેલા “આરામદાયક, અદ્ભુત કાર્યકારી સંબંધો” બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી પરિષદનો પણ આભાર માન્યો હતો અને તેમના સહયોગને “અમૂલ્ય” ગણાવ્યો હતો.
ધનખરે જણાવ્યું કે, “મેં મારા કાર્યકાળ દરમિયાન ઘણું શીખ્યું છે.સંસદ સભ્યો દ્વારા દર્શાવવામાં આવેલી ઉષ્મા અને સ્નેહ તેમની યાદમાં કાયમ રહેશે. ઉપરાષ્ટ્રપતિ તરીકેના પોતાના કાર્યકાળને આંતરદૃષ્ટિ અને વિશેષાધિકારનો સમયગાળો ગણાવતા, ધનખરે લખ્યું કે ભારતની આર્થિક પ્રગતિના સાક્ષી બનવું અને તેમાં ભાગ લેવો સંતોષજનક હતો. તેમણે કહ્યું, “આપણા રાષ્ટ્રના ઇતિહાસના આ પરિવર્તનકારી યુગમાં સેવા આપવી એ ખરેખર સન્માનની વાત છે.
“ભારતના વૈશ્વિક ઉદય” પર ગર્વ વ્યક્ત કર્યો
પદ પરથી રાજીનામું આપતી વખતે, ધનખરે “ભારતના વૈશ્વિક ઉદય” પર ગર્વ વ્યક્ત કર્યો અને દેશના ભવિષ્યમાં વિશ્વાસ દર્શાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ૭૪ વર્ષીય જગદીપ ધનખરે ઓગસ્ટ ૨૦૨૨માં ભારતના ૧૪મા ઉપરાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો. તેઓ વ્યવસાયે વરિષ્ઠ વકીલ છે અને ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યા છે. રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમનો મમતા બેનર્જીની સરકાર સાથે ભ્રષ્ટાચારના આરોપો, રાજકીય હિંસા, વહીવટીતંત્ર અને શૈક્ષણિક સંસ્થાઓના રાજકીયકરણ અને અલોકતાંત્રિક વલણ જેવા મુદ્દાઓ પર લાંબા સમય સુધી સંઘર્ષ ચાલ્યો હતો.
