અમદાવાદમાં મોડી રાતથી રિક્ષાચાલકોની હડતાળને કારણે શહેરના વાહનવ્યવહાર પર મોટી અસર પડશે. ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવી રહેલી કડક કાર્યવાહીના વિરોધમાં અમદાવાદ રિક્ષાચાલક એસોસિએશન દ્વારા આજે મધરાતથી રિક્ષા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. આ આંદોલનમાં શહેરની અંદાજે ૨.૫૦ લાખ જેટલી રિક્ષાઓના પૈડા થંભી જશે, જેના કારણે લાખો નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
પોલીસની કાર્યવાહી સામે રિક્ષાચાલકોના આકરા આક્ષેપો
રિક્ષાચાલકોનો મુખ્ય આક્ષેપ છે કે, ટ્રાફિક પોલીસ મેમો આપવાના બદલે સીધી રિક્ષાઓ જપ્ત કરી રહી છે. રિક્ષા જપ્ત થયા બાદ ચાલકોને જામીન લેવાની ફરજ પડી રહી છે, જેના કારણે તેમને આર્થિક અને માનસિક રીતે હેરાનગતિ ભોગવવી પડે છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે, પોલીસ પોતાના “ટાર્ગેટ” પૂર્ણ કરવા માટે તેમને અન્યાયી રીતે હેરાન કરી રહી છે.
તેમનો વધુ એક મોટો આરોપ એ છે કે, આ કાર્યવાહી માત્ર રિક્ષાચાલકો સામે જ થઈ રહી છે, જ્યારે ઓલા, ઉબેર, રેપિડો સહિતના અન્ય વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જે સ્પષ્ટ ભેદભાવ દર્શાવે છે. કેટલાક રિક્ષાચાલકોએ તો એવો પણ દાવો કર્યો છે કે, તેમની પાસે માન્ય લાયસન્સ હોવા છતાં, તેમને લાયસન્સ ન હોવાનું કહીને રિક્ષા જપ્ત કરવામાં આવી રહી છે.
પોલીસ કમિશનરને પત્ર અને બંધની અપીલ
આ મામલે રિક્ષાચાલક એસોસિએશને પોલીસ કમિશનરને એક પત્ર લખીને કાર્યવાહી રોકવા માટે આજે રાત્રે ૧૨ વાગ્યા સુધીનો સમય આપ્યો છે. જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો, મધરાતથી અમદાવાદની તમામ રિક્ષાઓ બંધ રહેશે. એસોસિએશને શહેરના તમામ રિક્ષાચાલકોને આ બંધને સમર્થન આપવા માટે અપીલ કરી છે, જેથી તેમની સમસ્યાઓનો ઉકેલ આવી શકે.
આ હડતાળને કારણે આવતીકાલથી અમદાવાદમાં જાહેર પરિવહનની એક મહત્વપૂર્ણ કડી ખોરવાઈ શકે છે, અને તેનાથી સામાન્ય જનજીવન પર વ્યાપક અસર થવાની સંભાવના છે.
