સંસદના ચોમાસું સત્ર દરમિયાન ઓપરેશન સિદૂર અને પહલગામ હુમલા પર ચર્ચા વચ્ચે એસ. જયશંકરે ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. આ દરમિયાન વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવી રહેલા સવાલો પર ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો હતો. શાહે કહ્યું કે, તમને ભારતના વિદેશમંત્રી જે બોલી રહ્યા છે, તેના પર વિશ્વાસ નથી. તમને બીજા દેશ પર વિશ્વાસ છે. આવી રીતે તો તમે ૨૦ વર્ષ ત્યાં વિપક્ષમાં જ બેસવાના છો. હકીકતમાં આ પ્રકરણ ત્યારે શરૂ થયું જ્યારે જયશંકરને પોતાની વાત કહેતા વારંવાર રોકવામાં આવી રહ્યા હતા. વિપક્ષ તરફથી હોબાળાના કારણે વિદેશ મંત્રી પોતાની વાત કહી શકતા નહોતા.
આ દરમિયાન અમિત શાહ ઊભા થયા. તેમણે કહ્યું કે, માનનીય અધ્યક્ષજી, મને એક વાતે વાંધો છે. ભારત દેશના શપથ લીધેલા વિદેશ મંત્રી જે બોલી રહ્યા છે, તેમને એમના પર પણ વિશ્વાસ નથી, તેમને કોઈ બીજા દેશ પર વિશ્વાસ છે. હું સમજી શકું છું કે તેમની પાર્ટીમાં વિદેશનું મહત્ત્વ શું છે, પણ તેનો અર્થ એ નથી કે પાર્ટીની બધી વસ્તુઓ સદનમાં લાવીને થોપી દો. ભારતના વિદેશ મંત્રી પર તમે વિશ્વાસ નથી કરતા. શપથ લીધેલા વ્યક્તિ અહીં બોલી રહ્યા છે, તે એક જવાબદાર વ્યક્તિ છે. માન્યવર અધ્યક્ષજી, એટલા માટે તેઓ ત્યાં બેઠા છે અને ૨૦ વર્ષ સુધી ત્યાં જ બેસવાના છે.
થોડી વાર બાદ અમિત શાહ ફરીથી ઊભા થયા. તેમણે કહ્યું કે, તેમના સ્પીકર જ્યારે બોલી રહ્યા હતા, અમે ધૈર્યથી સાંભળી રહ્યા હતા. હું બતાવું કે કેટલી અસત્ય વાતો કાલે બોલાઈ. પરંતુ તેમ છતાં અસત્યને પણ અમે સાંખી લીધી. પણ આ લોકો સત્યને પણ સાંભળી શકતા નથી. જ્યારે આટલા મહત્ત્વના વિષય પર ચર્ચા થઈ રહી છે, ત્યારે સરકારના આટલા મુખ્ય વિભાગના મંત્રીને ટોકવું આપને શોભતું નથી. માન્યવર તમારે બિલકુલ આગ્રહથી કહેવું જોઈએ. નહીંતર પછી અમે પણ અમારા મેમ્બર્સને બાદમાં સમજાવી નહીં શકીએ
