આગામી મહિને ભારત અને વેસ્ટ ઇન્ડીઝ બે ટેસ્ટ મેચની સિરીઝ યોજાશે. પહેલી ટેસ્ટ ૨ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને બીજી ટેસ્ટ ૧૦ ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
આ સિરીઝ માટે જાહેર થયેલી ટીમમાં ઘણા ફેરફારો થયા છેઃ જેમાં રવીન્દ્ર જાડેજાને વાઇસ-કેપ્ટન બનાવાયો છે, દેવદત્ત પડિક્કલની વાપસી થઈ છે અને કરુણ નાયરને બહાર કરવામાં આવ્યો છે, જેનું ઇંગ્લેન્ડ પ્રવાસમાં પ્રદર્શન નબળું રહ્યું હતું. અક્ષર પટેલની વાપસીની શકયતા છે,
શ્રેયસ ઐયરે સિલેક્શન કમિટીના અધ્યક્ષ અજિત અગરકરને જણાવ્યું છે કે પીઠની જકડનને કારણે તે હાલમાં રેડ-બોલ (ટેસ્ટ) ક્રિકેટ રમી શકશે નહીં. આ કારણોસર, તેણે ૬ મહિના માટે રેડ-બોલ ક્રિકેટથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તે ૩૦ ઓક્ટોબરથી શરૂ થતી ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ૩ મેચની સિરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે.
જસપ્રીત બુમરાહે વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ માટે પોતાની ઉપલબ્ધતા જણાવી છે. આ ટેસ્ટ સિરીઝ પછી ભારત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જ્યાં ૩ વન-ડે અને ટી-ર૦ મેચ રમાશે. તાજેતરના ઇંગ્લેન્ડ પ્રવાસમાં બુમરાહ ૫માંથી ફક્ત ૩ ટેસ્ટ મેચમાં જ રમ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ માટે ભારતીય ટીમમાં મોટા ફેરફારોની શકયતા ઓછી છે. ચોથી ટેસ્ટ (માંચેસ્ટર) દરમિયાન જમણા પગમાં ફ્રેક્ચર થવાને કારણે વિકેટકીપર રિષભ પંત આ સિરીઝમાંથી બહાર રહેશે. તેની જગ્યાએ ધ્રુવ જુરેલને પ્રથમ વિકલ્પ તરીકે તક મળશે અને તમિલનાડુનો એન. જગદીશન બેકઅપ વિકેટકીપર તરીકે રહેશે.
વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચ માટે સંભવિત ભારતીય ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (ફક્ત એક ટેસ્ટ રમે એવી સંભાવના), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કળષ્ણા, દેવદત્ત પડિક્કલ, એન. જગદીશન (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી / આકાશ દીપ / અર્શદીપ સિંહ (આમાંથી કોઈ એકને તક મળી શકે છે)
