પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ શુક્રવારે બપોરે એક પ્રચંડ વિસ્ફોટથી ધણધણી ઉઠી હતી. ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારમાં આવેલી કસ્ર-એ-ખદીજાતુલ કુબ્રા મસ્જિદ (ઇમામબારગાહ) માં શુક્રવારની નમાઝ દરમિયાન આ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક સરકારી અને તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં અનેક લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે નવથી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના પ્રારંભિક અહેવાલો પ્રાપ્ત થયા છે.
ઘટનાની વિગતો અને પોલીસ કાર્યવાહી:
સ્થાનિક મીડિયા આઉટલેટ્સ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે મસ્જિદમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા ત્યારે એક શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ આસપાસના વિસ્તારોમાં સંભળાયો હતો અને મસ્જિદની ઇમારતને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટુકડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
કટોકટીની જાહેરાત અને હાઈ એલર્ટ:
આ ભયાનક ઘટના બાદ ઇસ્લામાબાદના પોલીસ મહાનિદેશક (IG) એ પાટનગરમાં તાત્કાલિક અસરથી બિનજરૂરી હિલચાલ પર પ્રતિબંધ મૂકીને બટોકટીની સ્થિતિ (Emergency) જાહેર કરી દીધી છે. સમગ્ર ઇસ્લામાબાદમાં સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને દરેક પ્રવેશ અને નિકાસ પોઈન્ટ પર કડક નાકાબંધી કરવામાં આવી છે. પોલીસ વડાએ અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવા અને ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવા આદેશ આપ્યો છે.
તપાસ અને બચાવ કાર્ય:
બચાવ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ, કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ફોરેન્સિક ટીમો પણ ઘટનાસ્થળે પુરાવા એકત્ર કરવા માટે પહોંચી ગઈ છે. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ આ પાછળના કાવતરાખોરોને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હોસ્પિટલોમાં પણ કટોકટી જાહેર કરી વધારાના ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો
