ભારતીય ભોજનમાં જો ‘દાળ’ ન હોય તો થાળી અધૂરી લાગે છે, પણ શું તમે જાણો છો કે તમારી થાળીમાં પીરસાતી આ સાદી દાળનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો અને શાહી ઠાઠ ધરાવતો છે? ઇતિહાસના પાના ઉથલાવીએ તો જાણવા મળે છે કે હડપ્પા સભ્યતાના લોકોથી લઈને મુગલ સલ્તનત સુધી, દાળ હંમેશા ભારતનું મુખ્ય ભોજન રહી છે. તાજેતરના સંશોધનોમાં સામે આવ્યું છે કે મસૂર અને અન્ય કઠોળ સાથેનો આપણો સંબંધ માત્ર સ્વાદનો નહીં, પણ સંસ્કૃતિનો પણ છે.
ચંદ્રગુપ્ત મૌર્યના લગ્ન અને ‘ઘુગ્ની’નું કનેક્શન
વાત છે ઈસવીસન પૂર્વે 303ની, જ્યારે મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યના લગ્ન થયા હતા. ઇતિહાસકારોના મતે, આ શાહી લગ્નના ભોજન સમારંભમાં એક ખાસ પ્રકારની દાળ પીરસવામાં આવી હતી. આ વાનગીને આજે પૂર્વ ભારતમાં અત્યંત લોકપ્રિય એવી “ઘુગ્ની” ની પૂર્વજ માનવામાં આવે છે. આમ, જે વાનગી આજે ગલી-મહોલ્લામાં નાસ્તા તરીકે ખવાય છે, તે ક્યારેક સમ્રાટોની પસંદગી હતી!
હડપ્પાના ખોદકામમાં મળ્યા પુરાવા
પુરાતત્વ વિભાગના ખોદકામ દરમિયાન જાણવા મળ્યું છે કે હડપ્પા સંસ્કૃતિના લોકો વટાણા, ચણા અને મગના પાકથી પરિચિત હતા. તેઓ કઠોળને રાંધવાની વિવિધ રીતો જાણતા હતા. સમય જતાં, ભારતના વિવિધ પ્રાંતોમાં દાળ બનાવવાની રીતો બદલાઈ અને તે જોધાબાઈના રસોડામાં પણ પહોંચી. મુગલ કાળમાં અકબરના રસોડામાં પંચમેલ દાળ જેવી વાનગીઓએ ખાસ સ્થાન મેળવ્યું હતું, જે આજે પણ રાજસ્થાની થાળીની શાન ગણાય છે.
દાળ મખાણીથી લઈને સાદી તુવેર દાળ સુધી
કઠોળનો આ ઇતિહાસ માત્ર મૌર્ય કાળ પૂરતો સીમિત નથી, પરંતુ તે આધુનિક યુગની ‘દાળ મખાણી’ સુધી વિસ્તરેલો છે. ભારતનો દરેક પ્રાંત પોતાની રીતે દાળને વઘારે છે, પણ તેનો મૂળ ઈતિહાસ આપણી પ્રાચીન સભ્યતામાં છુપાયેલો છે. આજે જ્યારે તમે દાળ-ભાત ખાઓ, ત્યારે યાદ કરજો કે તમે માત્ર ભોજન નથી કરી રહ્યા, પણ હજારો વર્ષ જૂના વારસાનો સ્વાદ માણી રહ્યા છો.
