પૂર્વ મુખ્યમંત્રી સ્વ. મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર અને અખિલેશ યાદવના સાવકા ભાઈ પ્રતીક યાદવનું અચાનક નિધન થયું છે. આજે સવારે આ સમાચાર આવતા રાજકીય આલમમાં સન્નાટો વ્યાપી ગયો હતો. પ્રતીક યાદવ ભાજપ નેતા અપર્ણા સિંહના પતિ હતા.
રસોડામાં અચાનક તબિયત લથડી અને બધું જ વિખેરાઈ ગયું
પ્રતીક યાદવના નિધન અંગે તેમના નજીકના મિત્ર અને ઉદ્યોગપતિ મુકેશ બહાદુર સિંહે હૃદયદ્રાવક ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, પ્રતીક પોતાના ઘરે હતા ત્યારે અચાનક રસોડામાં બેભાન થઈને ઢળી પડ્યા હતા. આ ઘટનાથી પરિવારમાં અફરાતફરી મચી ગઈ હતી. તેમને તાત્કાલિક લખનૌની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલના ઉંબરે પહોંચતા પહેલા જ તેમના પ્રાણ નીકળી ગયા હતા.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેમને જ્યારે આઈસીયુમાં લાવવામાં આવ્યા ત્યારે તેમના ધબકારા થંભી ગયા હતા.પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને શંકાના ઘેરામાં મોત
પ્રતીક યાદવના મોતના કારણો હજુ સ્પષ્ટ થયા નથી, જેને પગલે અનેક પ્રકારની અટકળો લગાવાઈ રહી છે. કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU) ખાતે ૬ ડોક્ટરોની પેનલ દ્વારા ૨ કલાક સુધી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જોકે, ડોક્ટરો હજુ કોઈ ચોક્કસ તારણ પર ન પહોંચતા તેમના ‘વિસેરા’ (શરીરના અંગોના નમૂના) સુરક્ષિત રાખીને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મિત્રોના મતે શરીર પર કોઈ ઈજાના નિશાન નથી, પરંતુ સત્ય રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે.
હાઈકોર્ટ તપાસની ઉગ્ર માંગ: સામાન્ય મોત નથી?
આ આકસ્મિક મૃત્યુએ હવે રાજકીય વળાંક લીધો છે. સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રવિદાસ મેહરોત્રાએ આ ઘટનાને શંકાસ્પદ ગણાવી છે. તેમણે સનસનીખેજ આક્ષેપ કરતા કહ્યું કે, “ડોક્ટરો કહે છે કે આ સામાન્ય મોત નથી. હોસ્પિટલ લાવવામાં પણ વિલંબ થયો હોવાનું જણાય છે.” મેહરોત્રાએ આ સમગ્ર પ્રકરણની તપાસ હાઈકોર્ટના પૂર્વ જજ દ્વારા કરાવવાની માંગ કરી છે. એક તરફ પરિવાર શોકમાં ગરકાવ છે, ત્યારે બીજી તરફ પ્રતીક યાદવના અકાળે અવસાન પાછળ કોઈ ગૂઢ કારણ છે કે કેમ તે બાબતે સમગ્ર દેશમાં ચર્ચાઓ જાગી છે.
