ભારત સરકારે દેશના આર્થિક ચિત્રને માપવાની પદ્ધતિમાં એક દાયકા બાદ સૌથી મોટો સુધારો કર્યો છે. આંકડાકીય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, જાન્યુઆરી ૨૦૨૬માં ભારતનો છૂટક ફુગાવો ૨.૭૫ ટકા રહ્યો છે.
મહત્વની વાત એ છે કે, આ આંકડો નવી ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) શ્રેણી હેઠળ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આધાર વર્ષ (Base Year) ૨૦૧૨ને હટાવીને હવે ૨૦૨૪ કરવામાં આવ્યું છે. આ ફેરફારને કારણે હવે મોંઘવારીનું વાસ્તવિક ચિત્ર વધુ સ્પષ્ટ રીતે સામે આવશે.
ખોરાકનું વજન ઘટ્યું, સેવાઓ મોંઘી થઈ
સુધારેલા CPI ડેટાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ખોરાક અને પીણાંના પ્રભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ફુગાવા પર ખાદ્ય પદાર્થો કરતા શિક્ષણ, આરોગ્ય, વ્યક્તિગત સંભાળ અને સામાજિક સુરક્ષા જેવી સેવાઓના ભાવની અસર વધુ જોવા મળશે. મંત્રાલયના જણાવ્યા મુજબ, જાન્યુઆરીમાં ફુગાવો વધવા પાછળ કપડાં, ફૂટવેર, રેસ્ટોરાં અને શિક્ષણ સેવાઓમાં થયેલો ભાવવધારો મુખ્ય કારણ છે.
ગામડાં અને શહેરોની સ્થિતિ
નવી ગણતરી મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો ૨.૭૩ ટકાથી વધીને ૨.૭૭ ટકા થયો છે. બીજી તરફ, ખાદ્ય ફુગાવાનો દર ૨.૧૩ ટકા નોંધાયો છે, જે અગાઉના ડિસેમ્બર મહિનામાં ૨.૭ ટકાના ઘટાડા પર હતો. જોકે, આ વધારો હોવા છતાં રાહતની વાત એ છે કે ફુગાવો હજુ પણ ભારતીય રિઝર્વ બેંક (RBI) ની ૪ ટકાની સહનશીલતા મર્યાદાથી ઘણો નીચે છે, જે સૂચવે છે કે અર્થતંત્ર સ્થિર ગતિએ આગળ વધી રહ્યું છે.
નવા ફુગાવા ઇન્ડેક્સમાં શું બદલાયું?
શેરબજાર અને મધ્યમ વર્ગ પર અસર
નિષ્ણાતોના મતે, ગણતરીની નવી પદ્ધતિ વધુ આધુનિક છે કારણ કે તે આજના ડિજિટલ યુગના ખર્ચાઓને ધ્યાનમાં લે છે. ફુગાવો અંકુશમાં હોવાથી ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો થવાની આશા જીવંત થઈ છે, જે લોન લેનારા મધ્યમ વર્ગ માટે સારા સમાચાર સાબિત થઈ શકે છે.
