July 22, 2026
તાજા સમાચારધર્મ

આસ્થાનું કેન્દ્ર એવું ઉત્તરાખંડનું ‘કૈંચી ધામ’ હવે એક નવા અવતારમાં જોવા મળશે

વિશ્વભરના લાખો શ્રદ્ધાળુઓ અને દિગ્ગજ હસ્તીઓની આસ્થાનું કેન્દ્ર એવું ઉત્તરાખંડનું ‘કૈંચી ધામ’ હવે એક નવા અવતારમાં જોવા મળશે. બાબા નીબ કરૌલી મહારાજના આ પવિત્ર ધામને વિશ્વ કક્ષાનું આધ્યાત્મિક પર્યટન કેન્દ્ર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. માર્ક ઝુકરબર્ગથી લઈને વિરાટ કોહલી સુધીના લોકો જ્યાં નતમસ્તક થયા છે, તે ધામમાં હવે ભક્તો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
‘ઓમ’ આકારનો કાચનો પુલ: સાહસ અને શ્રદ્ધાનો સંગમ
કૈંચી ધામના વિકાસમાં સૌથી મોટું આકર્ષણ શિપ્રા નદી પર બનનારો ૩૬ મીટર લાંબો કાચનો પુલ (Glass Bridge) હશે. આ પુલનો આકાર પવિત્ર ‘ઓમ’ જેવો રાખવામાં આવ્યો છે. એન્ટિ-સ્લિપ સપાટી ધરાવતા આ અત્યાધુનિક પુલ પરથી પસાર થતી વખતે ભક્તો નીચે વહેતી શિપ્રા નદી અને ખીણનો અદભૂત નજારો માણી શકશે. જૂન ૨૦૨૬ સુધીમાં આ પુલ તૈયાર કરવાનું લક્ષ્ય છે.
શાંતિની શોધમાં આવતા ભક્તો માટે ‘ધ્યાન કેન્દ્ર’
અત્યાર સુધી ભક્તો મંદિર સંકુલમાં કે વૃક્ષો નીચે બેસીને ધ્યાન કરતા હતા, જેમાં ભીડ અને ટ્રાફિકના અવાજથી ખલેલ પડતી હતી. હવે, ૯૦૦ ચોરસ મીટરમાં ખાસ ‘મેડિટેશન સેન્ટર’ બનાવવામાં આવી રહ્યું છે. કુદરતી વાતાવરણ જાળવી રાખવા માટે તેને ‘ઝૂંપડી’ (Hut) આકારમાં વિકસાવવામાં આવ્યું છે, જ્યાં એકસાથે ૩૦ ભક્તો સંપૂર્ણ શાંતિમાં ધ્યાન કરી શકશે.
ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનો કાયમી ઉકેલ
સીબીડીડી (CBDD) યોજના હેઠળ ₹૧૭.૫૯ કરોડના ખર્ચે ધામનો વ્યાપક વિકાસ થઈ રહ્યો છે. ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ₹૪૦ કરોડથી વધુના ખર્ચે ‘G+3’ માળનું વિશાળ બહુમાળી પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે. ૩૪૦ થાંભલાઓ પર ઉભું રહેનારું આ પાર્કિંગ ટ્રાફિકની સમસ્યાને જડમૂળથી દૂર કરશે. આ ઉપરાંત, ભક્તો માટે હાઇટેક શૌચાલય, દવાખાનું અને પોલીસ ચોકી જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી રહી છે.
યુવાનોમાં વધતી લોકપ્રિયતા
એક સર્વે મુજબ, કૈંચી ધામમાં આવતા ૭૦% ભક્તો યુવા પેઢીના છે. ૧૯૬૦ના દાયકામાં સ્થાપિત થયેલું આ ધામ આજે પણ તેની કુદરતી સુંદરતા અને આધ્યાત્મિક ઉર્જા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવે છે. પીડબલ્યુડી (PWD) ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રત્નેશ સક્સેનાના જણાવ્યા મુજબ, આ તમામ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ કૈંચી ધામ વૈશ્વિક આધ્યાત્મિક નકશા પર એક તેજસ્વી તારાની જેમ ચમકશે.

Related posts

કાલસર્પ દોષ અને સર્પદંશથી છુટકારો મેળવવા નાગ પંચમી પર કરો 8 નાગની પૂજા

Ahmedabad Samay

બુધવારે અવશ્ય કરવા આ 5 ઉપાય, કરિયર અને બિઝનેસ માટે રહેશે ફાયદાકારક

Ahmedabad Samay

કેપ્ટન લિયોનેલ મેસીની આગેવાનીમાં આર્જેન્ટિનાની ટીમે FIFA worldcup ઇતિહાસનું ત્રીજું ટાઇટલ જીત્યું

Ahmedabad Samay

પેટીએમ એપ યુઝ કરનારા યુઝર્સ ૧૫ માર્ચ અગાઉ પોતાના એકાઉન્‍ટને અન્‍ય બેન્‍ક એકાઉન્‍ટ સાથે લિંક કરી લે

Ahmedabad Samay

પ્રવીણ નેતારુના હત્યા કેસમાં ચોંકાવનારી માહિતી આવી સામે,આગામી ૨૪ વર્ષ એટલે કે ૨૦૪૭ સુધીમાં ભારતને ઈસ્‍લામિક દેશ બનાવવાનું કાવતરું આવ્યું સામે

Ahmedabad Samay

Weekly Rashifal: આ રાશિના જાતકો આ સપ્તાહ માટે ભાગ્યશાળી રહેશે, જલ્દી પ્રમોશન મળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો