June 8, 2026
Other

જીવરાજ બ્રિજ પાસે પારિવારિક કંકાસ અને પ્રેમ લગ્નનું વેર હોવાથી પ્રૌઢની જાહેરમાં હત્યા કરાઇ

શહેરના જીવરાજ બ્રિજ નજીક આવેલ એક મોબાઈલ પાર્લર પાસે ધોળા દિવસે બનેલી હત્યાની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. રાજીવ નગર વિસ્તારમાં રહેતા 52 વર્ષીય નટુ પરમાર જ્યારે બજરંગ મોબાઈલ નામની દુકાને ગયા હતા, ત્યારે જૂની અદાવત રાખીને કનુ ઉર્ફે લેલી સહિત ચાર શખ્સો પાઈપ અને દંડા જેવા જીવલેણ હથિયારો સાથે તૂટી પડ્યા હતા.

હુમલાખોરોએ નિર્દયતાપૂર્વક પ્રૌઢને માર માર્યો હતો, જેના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નટુભાઈનું સારવાર દરમિયાન મોત નીપજતા આ મામલો હત્યામાં પલટાયો છે.

આ હત્યાકાંડ પાછળ પારિવારિક કંકાસ અને પ્રેમ લગ્નનું વેર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતક નટુભાઈના પુત્ર કૌશિકે ચાર વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ છેલ્લા છ મહિનાથી પતિ-પત્ની વચ્ચે ખટરાગ ચાલતો હતો. કૌશિકનો આક્ષેપ છે કે તેની પત્નીના પરિવારજનો અને તેમના પરિચિતોએ જ પિતાની હત્યાનું કાવતરું ઘડ્યું છે. આ બનાવને પગલે રાજીવ નગરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને સ્થાનિકોએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસનો કાફલો ખડકી દેવો પડ્યો હતો.

આનંદનગર પોલીસે હાલ ચાર શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સૌથી આઘાતજનક બાબત એ રહી કે જ્યારે હુમલાખોરો બેફામ બનીને પ્રૌઢ પર હુમલો કરી રહ્યા હતા, ત્યારે આસપાસ ઉભેલા લોકો મૂકપ્રેક્ષક બની તમાશો જોતા રહ્યા અને કોઈએ પણ તેમને બચાવવાની હિંમત દાખવી નહીં.

પીડિત પરિવારે માંગ કરી છે કે હત્યારાઓની ત્વરિત ધરપકડ કરી તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને કડકમાં કડક સજા ફટકારવામાં આવે. હાલ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ફરાર આરોપીઓના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે.

Related posts

અમદાવાદના વાડજ વિસ્તારમાં બની એસિડ અટેકની ઘટના

Ahmedabad Samay

ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુ બલિની ઘટના

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

બ્રહ્માકુમારીઝના આંતરરાષ્‍ટ્રીય સ્‍પીકર શિવાની દીદીએ જણાવ્‍યુ હતુ.  કે જે વસ્‍તુને શોધવા આપણે બહાર ફાફા મારીએ છીએ તે વસ્‍તુતો આપણી અંદર જ હોય છે

Ahmedabad Samay

ઈશા રાજપૂતએ  રેસલિંગ ફેડરેશન કપ (સિનિયર વર્ગ) માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીય મુદ્દે નકારત્મક ટિપ્પણી બદલ ભાજપ અને કોંગ્રેસ ના ધારાસભ્યો ના નિવેદન નો વિરોધ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો