June 5, 2026
તાજા સમાચારદેશ

દેશની રાજધાની દિલ્‍હી આજે સવારે એક ભયાનક અને કાળજું કંપાવી દેનારા અગ્નિકાંડથી થયા 21ના મોત

દેશની રાજધાની દિલ્‍હી આજે સવારે એક ભયાનક અને કાળજું કંપાવી દેનારા અગ્નિકાંડથી ધ્રુજી ઉઠી છે. દક્ષિણ દિલ્‍હીના હૌજ રાની વિસ્‍તારમાં આવેલી પાંચ માળની ફ્‌લોરિસ્‍ટ ઇન હોટલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દિલધડક દુર્ઘટનામાં અત્‍યાર સુધીમાં ૨૧ નિર્દોષ લોકો જીવતા ભડથું થઈ ગયા છે, જ્‍યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા છે. આ આગે જોતજોતામાં આખી ઇમારતને પોતાના લપેટામાં લઈ લીધી હતી, જેના કારણે ચારેય તરફ ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી.

આ કરુણ ઘટના પાછળનું સૌથી દુઃખદ પાસું એ છે કે મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના વિદેશી નાગરિકો હતા. હૌજ રાનીની સાંકડી શેરીઓમાં આવેલી આ હોટલના પાંચ માળમાં આશરે ૨૫ રૂમ હતા, જેમાં ૫૦થી વધુ લોકો રોકાયા હતા. આ તમામ લોકો ભારતમાં આધુનિક તબીબી સારવાર મેળવવા માટે વિદેશથી આવેલા દર્દીઓના સગા-સંબંધીઓ અને સહાયકો હતા. હોટલના રૂમમાં વિદેશી મહેમાનો ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા, ત્‍યારે જ કાળમુખી આગે તેમને સકંજામાં લઈ લીધા હતા, જેના કારણે તેમને બહાર નીકળવાની તક જ મળી નહોતી.

પ્રાથમિક તપાસ અને હોટલના રેસ્‍ટોરન્‍ટમાં કામ કરતા મુખ્‍ય શેફ કેસર સિંહના જણાવ્‍યા અનુસાર, આ આગ હોટલના ભોંયરામાં ચાલતી રેસ્‍ટોરન્‍ટના રસોડામાંથી શરૂ થઈ હતી. સવારે આશરે ૮ વાગ્‍યે જ્‍યારે શેફ ઇલેક્‍ટ્રિક સ્‍ટોવ ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્‍યારે જ અચાનક જોરદાર ભડકો થયો હતો. જોતજોતામાં શોર્ટ સર્કિટ અથવા ટેકનિકલ ખામીના કારણે આગ આખા રસોડામાં અને ત્‍યાંથી હોટલના ઉપરના માળ તરફ વાયુવેગે પ્રસરી ગઈ હતી. શેફ અને તેનો સહાયક તો જીવ બચાવીને ભાગવામાં સફળ રહ્યા, પરંતુ ઉપરના રૂમમાં રહેલા લોકો માટે આ આગ મોતના પંજા સમાન સાબિત થઈ.

દિલ્‍હી ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્‍થળે પહોંચીને ભારે જહેમત બાદ હોટલની બારીઓ તોડીને અંદર ફસાયેલા કુલ ૩૭ લોકોને સકુશળ બહાર કાઢયા હતા. જોકે, સાંકડી શેરીઓને કારણે ફાયર ફાઇટરોને બચાવ કામગીરીમાં ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડ્‍યો હતો. હાલમાં આખી હોટલ બળીને ખાખ થઈ ગઈ છે અને સ્‍થાનિક પોલીસ તેમજ ટેકનિકલ એજન્‍સીઓએ આ ગંભીર બેદરકારી બદલ હોટલ પ્રશાસન વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Related posts

કોમર્શિયલ ગેસના બાટલમાં થયો રૂ.૧૦૦ નો વધારો

Ahmedabad Samay

કોરોનાની નવી ગાઈડલાઈન બહાર આવી, હોમ હોકોરોન્ટાઇન હવે ૦૭ અને હળવા કેસમાં ૧૦ દિવસે રજા

Ahmedabad Samay

ચીનની 52 જેટલી એપ્લિકેશન બ્લોક કરવાની ગુપ્તચર વિભાગ દ્વારા સલાહ

Ahmedabad Samay

કોરોના ની ચેન તોડવા ૧૪ દિવસનું લોકડાઉન જરૂરી

Ahmedabad Samay

દેશમાં પ્રથમવાર રાજસ્થાનમાં ડોર ટુ ડોર રસીકરણ અભિયાન શરૂ

Ahmedabad Samay

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી અને આ પ્રકારના તમામ દાવાઓ તદ્દન ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો