ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દેશમાં બુધવાર રાત સુધી કોરોના ના ૨.૮૫ લાખ કેસ સામે આવી ચૂકયા છે. તેમાંથી લગભગ ૮ હજાર લોકોનાં મોત થઈ ચૂકયા છે. દેશમાં સૌથી વધુ મોતનો આંકડો મહારાષ્ટ્રનો છે. ત્યારબાદ ગુજરાત અને દિલ્હીમાં લોકોએ જીવ ગુમાવ્યા છે.
મુંબઈએ સૌથી વધુ લોકો ગુમાવ્યા છે. ત્યારબાદ અમદાવાદ અને દિલ્હી આવે છે. પરંતુ આંકડાઓનું એનાલિસિસ કરવામાં આવે તો ગંભીર વાત સામે આવે છે કેે મુંબઈમાં ભલે વધારે લોકોનાં મોત થયા હોય પરંતુ ડેથ રેટમાં અમદાવાદ પહેલા નંબરે છે.
૮ જૂનના આંકડા મુજબ કોરોનાની તપાસના મામલે દિલ્હી સૌથી સારી સ્થિતિમાં છે, જયારે ગુજરાત ખરાબ સ્થિતિમાં છે. દિલ્હીમાં પ્રતિ ૧૦ લાખની વસ્તીમાં ૧૩,૦૫૩ લોકોની તપાસ થઈ છે. આ મામલામાં મહારાષ્ટ્ર – ૫૧૯૮ બીજા અને ગુજરાત – ૪૧૭૨ ત્રીજા સ્થાને છે.
મુંબઈ, અમદાવાદ, દિલ્હીની તુલનામાં- મુંબઈ, અમદાવાદ અને દિલ્હીમાં કેટલા લોકોનાં મોત થઈ ચૂકયા છે? ડેથ રેટ કયાં વધુ છે એટલે કે વસ્તીના હિસાબથી કયાં સૌથી વધુ ખતરો છે? આ સવાલોના જવાબમાં મુંબઈ અને અમદાવાદનું નામ આવે છે. મુંબઈમાં દેશના કોઈ પણ શહેરથી વધુ મોત થયા છે.
પરંતુ ડેથ રેટમાં અમદાવાદ સૌથી આગળ છે.૮ જૂન સુધીના આંકડાઓ મુજબ અમદાવાદમાં પ્રતિ ૧૦ લાખની વસ્તીમાં ૧૮૨ લોકોનાં મોત કોરોનાના કારણે થયા છે. મુંબઈમાં ડેથ રેટ ૮૮ અને દિલ્હીમાં ૪૫ છે. એટલે કે, અમદાવાદનો ડેથ રેટ દિલ્હીથી ચાર ગણાથી પણ વધુ છે.
