આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે આઇસીયુમાં લાગેલી આગથી પાંચ-પાંચ જિંદગી અકાળે અસ્ત થઇ ગઇ છે. તસ્વીરમાં આઇસીયુની જે પથારીઓ હતી તે દર્દીઓ માટે મોતની પથારી બની ગઇ હતી. ભયાનક દ્રશ્ય જોઇ શકાય છે. બાજુની તસ્વીરોમાં જેમનો દૂર્ઘટનામાં ભોગ લેવાયો તે હતભાગીઓ રાજકોટના ન્યુ શકિત સોસાયટીના કેશુભાઇ અકબરી, પ્રહલાદ પ્લોટના સંજયભાઇ રાઠોડ, નીચે મોરબીના નિતીનભાઇ બદાણી અને જસદણના નિવૃત એએઅસાઇ રામશીભાઇ લોહની ફાઇલ તસ્વીરો..જે હવે સ્વજનો માટે સંભારણુ બની ગઇ છે તે તથા ગોંડલના રસિકલાલ અગ્રાવત સારવારમાં હતાં ત્યારે વિડીયો કોલ વખતે લેવાયેલી તસ્વીર જોઇ શકાય છે.
હોસ્પિટલમાં કુલ ૩૩ દર્દીઓ હતાં. જેમાં ૧૧ આઇસીયુમાં અને ૨૨ જનરલ વોર્ડમાં હતાં. ૩૩માંથી પાંચના મોત નિપજ્યા હતાં. જ્યારે બચી ગયેલા ૨૮માંથી ૨૩ને કુવાડવા રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં અને બાકીના ૬ને વિદ્યાનગર રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ તમામ દાઝયા નથી પણ કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવી આગ કાબુમાં લીધી હતી. પ્રાથમિક તારણ મુજબ વેન્ટીલેટરમાં સ્પાર્ક થતાં અથવા તો ગ્રાઉન્ડ ફલોરમાં શોર્ટ સરકિટ થયા બાદ ઉપરના આઇસીયુ યુનિટમાં આગ ભભુકયાની શકયતા છે. જો કે ફોરેન્સિક નિષ્ણાંતો અને સીસીટીવી ફૂટેજને તપાસ બાદ જ આગ કઇ રીતે લાગી તેની સાચી વિગતો બહાર આવશે.
હોસ્પિટલના તબીબ ડો. તેજસ કરમટાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત સપ્ટેમ્બર માસમાં અમારી હોસ્પિટલને કોવિડ કેર શરૂ કરવાની પરવાનગી મળી હતી. અમારી હોસ્પિટલ પાસે ફાયર એનોસી સહિતના તમામ દસ્તાવેજી પુરાવાઓ છે. સમગ્ર આગજનીની જે દ્યટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે. આઈસીયુમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગજની નો બનાવ બનવા પામ્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ફાટી નીકળેલ આગમાં ૫ દર્દીઓના કરૂણ મૃત્યુ નિપજ્યા, આ દુર્ઘટના અંગે નરેન્દ્રભાઇએ ટ્વીટ કરી ઉંડુ દુઃખ વ્યકત કર્યુ છે : તેમણે લખ્યુ છે કે ઈજા પામેલ તમામ દર્દીઓની ઝડપી રીકવરી માટે હું પ્રાર્થના કરૂ છું : અસરગ્રસ્તોને વહીવટીતંત્ર તરફથી તમામ શકય મદદ આપવામાં આવશે
આ મામલા પર રાજયના મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપવાની સાથોસાથ આગનો ભોગ બનેલા દર્દીઓના પરિવાર પ્રત્યે દુઃખ પણ વ્યકત કર્યું છે.
