સંયુક્ત અરબ અમીરાત કામ કરતા લાખો ભારતીયો માટે સારા સમાચાર છે. યુએઈએ શનિવારે જાહેરાત કરી હતી કે તે વ્યાવસાયિક વિદેશી નાગરિકોને તેની નાગરિકતા આપશે. કોવિડ -૧૯ રોગચાળા વચ્ચે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે અહીંના કામદારોને જ નહીં, પરંતુ તેમના પરિવારોને પણ નાગરિકત્વ આપવામાં આવશે.
દુબઇના શાસક, વડા પ્રધાન અને દેશના ઉપરાષ્ટ્રપતિ, શેખ મોહમ્મદ બિન અલ મખ્તુમે જાહેરાત કરી કે કલાકારો, લેખકો, ડોકટરો, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો તેમ જ તેમના પરિવારો નાગરિકત્વ માટે અરજી કરી શકે છે. યુએઈના નાગરિક બન્યા પછી પણ તેઓ તેમની જૂની નાગરિકતા જાળવી શકે છે.
હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે નાગરિકત્વ મેળવનારા વિદેશી નાગરિકોને પણ મૂળ નાગરિકો જેવા જ અધિકાર આપવામાં આવશે કે કેમ. હજી સુધી, અહીં કામ કરતા વિદેશી લોકોને નોકરી અથવા કામ દરમિયાન જ વિઝા મળે છે જે રિન્યુ કરવામાં આવે છે. જો કે, તાજેતરના વર્ષોમાં વિઝા નિયમો હળવા કરવામાં આવ્યા છે જેના કારણે વિશેષ રોકાણકારો, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો વધુ સમય દેશમાં રહી શકે છે.
