૩ નવા ખેડૂત કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા રેલરોકો આંદોલનનો ૧૨ વાગ્યે પ્રારંભ થયો હતો. આંદોલન ૪ વાગ્યા સુધી ચાલુ રહેશે એ સંયુકત કિશાન મોરચાએ જણાવ્યું હતું. દેશના અનેક ભાગોમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન ચાલી રહ્યું છે. બિહાર, દિલ્હી, યુપી, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં રેલ રોકો આંદોલનની અસર જોવા મળી છે.
ખેડૂતોના રેલ રોકો અભિયાન વચ્ચે દિલ્હી મેટ્રોના અનેક સ્ટેશનોમાં પ્રવેશની મનાઇ કરી દેવામાં આવી છે. બિહારમાં પણ અનેક સ્થળો રેલરોકો આંદોલનથી પ્રભાવિત થયા છે. અંબાલામાં હજારોની સંખ્યામાં ખેડૂતો રેલવે ટ્રેક પર બેઠેલા જોવા મળ્યા છે. રેલરોકો અભિયાનની અસર જમ્મુ-કાશ્મીરમાં પણ જોવા મળી છે.
રાજસ્થાનના જયપુરમાં ગાંધીનગર રેલવે સ્ટેશન પર દેખાવકારોએ ટ્રેન રોકી દીધી તેમજ અલવરમાં પણ ટ્રેનો રોકીને વિરોધ કરાયો. રાજ્યના ૬ જિલ્લામાં રેલ રોકો આંદોલનની અસર જોવા મળી.
પટણામાં ટ્રેક પર સુતેલા પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ કરી છે. અંબાલામાં પાટા પર બેઠેલા ખેડૂતોની પોલીસે ધરપકડ કરી છે. ખેડૂતોના રેલ રોકો આંદોલનની અસર અડધો ડઝન ટ્રેન પર દેખાઇ છે.
અંબાલામાં સેંકડોની સંખ્યામાં ખેડૂતો ટ્રેક પર બેસી ગયા છે, જયારે દિલ્હીની આસપાસ પણ ખેડૂતોએ ટ્રેક પર કબજો જમાવ્યો છે અને રેલ રોકવાની તૈયારીઓ કરી છે.
ગાઝીપુર બોર્ડરની પાસે મોદીનગર રેલ્વે સ્ટેશન પર પણ ખેડૂતોનો જમાવડો જોવા મળ્યો છે. અલગ અલગ રેલ્વે ટ્રેક પર પોલીસે પણ કાફલો વધાર્યો છે અને સુરક્ષાની વ્યવસ્થા કરી છે. નાંગલોઈ રેલ્વે સ્ટશન પર ખેડૂતોએ રેલ રોકોનું અભિયાન શરૂ કર્યુ હતું જયાં તેમણે ૪ કલાક સુધી રેલ રોકવાની જાહેરાત કરી છે.
ખેડૂતોના રેલ રોકો આંદોલનને જોતા રેલવેએ પણ ખાસ તૈયારીઓ કરી હતી. દેશભરમાં રેલવે પ્રોટેકશન સ્પેશિયલ ફોર્સની ૨૦ વધારાની ટુકડીઓ એટલે કે લગભગ ૨૦ હજાર જવાન તૈનાત કરાયા હતા. મુખ્ય ફોકસ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ પર રખાયું હતું.
