કોવિડ-૧૯ના ચેપ નિયંત્રણ માટે રાજયના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુની મુદ્દત ૨૫ સપ્ટેમ્બરને શનિવારે પૂર્ણ થાય છે. ૭ ઓક્ટોબરથી નવરાત્રિનો આરંભ થાય છે. આ સ્થિતિમાં ગુજરાતની નવી સરકાર રાત્રિ કરફ્યુના સમયમાં ઘટડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજન માટે નવી ગાઈડલાઈન સાથે આજે મહત્વનો નિર્ણય કરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
ગુજરાતમાં પહેલાથી જ ૪૦૦ વ્યક્તિઓની હાજરીમાં ડી.જે.ઓરકેસ્ટ્રા સાથે ઉત્સવોની ઉજવણી માટે ગૃહ વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે. બીજી તરફ ૪.૯૩ કરોડ નાગરીકોમાંથી ૧.૭૬ કરોડથી વધુને કોરોના સામેના બંને ડોઝ મળ્યા છે. જયારે ૪.૦૭ કરોડને એક ડોઝ મળ્યો છે. બે મહિનાથી કોવિડ-૧૯ના દૈનિક કેસ ૨૦થી ઓછા આવી રહ્યા છે.
આ સ્થિતિમાં આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુની મુદ્દત રાતે ૧૨ વાગ્યાને બદલે ૧ વાગ્યાથી સવારે છ કલાક સુધીની રાખવામા આવે તેવી માંગણી સિનેમા,ᅠહોટલ- રેસ્ટોરન્ટ જેવા વેપાર- ઉદ્યોગોમાંથી શરૂ થઈ છે.
નવરાત્રિ- દિવાળીના તહેવારો નજીક છે ત્યારે અર્થતંત્રને બળ મળે તે ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર નવરાત્રિમાં શેરી ગરબાના આયોજન માટે કોવિડ-૧૯ નિયંત્રણ માટે ગાઈડલાઈન જાહેર કરી શકે છે. ગૃહ વિભાગના ટોચના અધિકારીએ કહ્યુ કે,ᅠઆઠ શહેરોમાં રાત્રિ કરફ્યુની મુદ્દત શનિવારે પૂર્ણ થતી હોવાથી શુક્રવારે મળનારી બેઠકમાં નિર્ણય થશે.
