જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે વડાપ્રધાન મોદીનું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેમના માથા અને હાથ-પગ ગાયબ દર્શાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના અધિકૃત X હેન્ડલ પર આ પોસ્ટર શેર કરતાં લખ્યું છે કે જવાબદારીના સમયે ગાયબ.
આના પર ભાજપે વળતો પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ સીધી પાકિસ્તાન પાસેથી ઓર્ડર લઈ રહી છે. કોંગ્રેસ પાકિસ્તાન આતંકના ડીપસ્ટેટનું ટૂલકીટ બની ગઈ છે. ભાજપના સાંસદે કહ્યું કે કોંગ્રેસ અને તેમના નેતાઓની એવી કઈ મજબૂરી છે કે પાકિસ્તાનની ભાષા બોલવી જરૂરી છે? તેઓ પાકિસ્તાનનું સમર્થન કેમ કરી રહ્યા છે? જ્યારે ભારતીયોનું લોહી વહે છે તો શું તેમને આ જોઈને ગુસ્સો નથી આવતો?
ભાજપના સાંસદે કહ્યું કે તેમના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી સૈફુદ્દીન સોઝે અમને કહ્યું કે અમે પાકિસ્તાનની વાત સાંભળીએ અને પાકિસ્તાનનું પાણી ન રોકીએ. કોંગ્રેસ કોની સાથે ઊભી છે? ભારતની કે પાકિસ્તાનની? જ્યારે ભારત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, ત્યારે કોંગ્રેસ સવાલ ઉઠાવે છે. હવે કોંગ્રેસનો પાકિસ્તાન તરફી ચહેરો ખુલ્લો પડી ગયો છે.
ભાજપના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે કોંગ્રેસે જે રીતે ‘સર તન સે જુદા’ વાળી તસવીરનો ઉપયોગ કર્યો છે, તેમાં હવે કોઈ શંકા નથી રહી કે આ માત્ર એક રાજકીય નિવેદન નથી. આ મુસ્લિમ વોટ બેંક મેળવવાનો પ્રયાસ છે. આ વડાપ્રધાન વિરુદ્ધ છૂપો ઉશ્કેરાટ છે. કોંગ્રેસે આ પ્રકારની રણનીતિ પહેલીવાર નથી અપનાવી.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પોતાના ઓર્ડર પાકિસ્તાન પાસેથી લઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીના ટ્વીટને પાકિસ્તાનના પૂર્વ મંત્રી કોટ કરે છે. તો આજે દેશ સમક્ષ એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને પાકિસ્તાનના આતંકના ડીપસ્ટેટની જુગલબંધી ચાલી રહી છે. કોંગ્રેસના અલગ-અલગ નેતાઓ પછી ભલે સિદ્ધારમૈયા હોય કે કોંગ્રેસના જમ્મુ-કાશ્મીરના ચીફ હોય, જે કહી રહ્યા છે કે આપણે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ.
જો કોંગ્રેસનું ચાલ-ચલિત્ર અને નીતિ આજે પાકિસ્તાન સમર્થક આતંકવાદી પાર્ટી જેવી છે, તો એ સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ પાર્ટીનું ચાલ-ચલિત્ર એ જ છે જે રાષ્ટ્રવિરોધી પાર્ટીનું હોય છે.
