મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં મુંબ્રા અને દિવા રેલવે સ્ટેશનો વચ્ચે રવિવારે દુખદ ટ્રેન દુર્ઘટના ઘટી, જેમાં ચાલુ લોકલ ટ્રેનમાંથી પડી જવાને કારણે ૫ યાત્રાળુઓના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, ૧૨ થી વધુ લોકો ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયા હતા.આ ઘટનામાં ૩ મહિલાઓ અને ૨ પુરુષો પડી ગયા અને તેમના મોત થયા છે. આ દુર્ઘટનામાં ૧૨ લોકો ઘાયલ થયાં હોવાના અહેવાલ પણ છે.
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટના પુષ્પક એક્સપ્રેસ અને કસારા લોકલ ટ્રેન એકબીજાને ક્રોસ કરતી વખતે બની. મળી રહેલી માહિતી અનુસાર, લોકલ ટ્રેનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોની ભીડને કારણે યાત્રાળુઓ દરવાજા પાસે લટકયા હતા અને ત્યારે જ તેઓ નીચે પટકાયા. આ દુર્ઘટનાએ મુંબઈની લોકલ ટ્રેનોમાં ભીડની સમસ્યા અને સુરક્ષા પર ફરી એકવાર ઉભા કર્યા છે. રેલવે વિભાગે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ, ટ્રેનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો હોવાથી ઘણા યાત્રાળુઓ દરવાજા પાસે લટકેલા હતા, જે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બન્યું. ઘટનાની જાણ થતાં જ રેલવે વહીવટીતંત્ર, પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ઘટનાસ્થળે પહોંચી ગયા. ઘાયલ મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મળતકોની ઓળખ હજુ ચાલુ છે, પરંતુ રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ, તમામ મળતકો ૩૦ થી ૩૫ વર્ષની વયના છે. આ ઘટનાના કેટલાક દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં મુસાફરો ટ્રેક પર પડેલા અને ગંભીર રીતે ઘાયલ થયેલા જોવા મળે છે, જેમના કપડાં ફાટી ગયા હતા. રેલવે પોલીસે આ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે, અને આ દુર્ઘટનાને કારણે સ્થાનિક ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે પ્રભાવિત થઈ હતી.
આ ઘટનાએ મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ટ્રેનના ગાર્ડે જણાવ્યું કે મુંબ્રા સ્ટેશન નજીક આવતાં જ અચાનક ભીડના દબાણને કારણે મુસાફરો નીચે પટકાયા. આવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળવા માટે રેલવે બોર્ડે તાત્કાલિક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. રેલવેના નવા રેકમાં ઓટોમેટિક ડોર ક્લોઝર સિસ્ટમ લગાવવાની યોજના જાહેર કરવામાં આવી છે, જેથી ટ્રેન ચાલુ હોય ત્યારે દરવાજા આપમેળે બંધ થઈ જાય અને મુસાફરો દરવાજા પાસે લટકવાનું જોખમ ઘટે. આ ઉપરાંત, રેલવે અધિકારીઓ ભીડ નિયંત્રણ માટે વધારાના પગલાં લેવાનું પણ આયોજન કરી રહ્યા છે, જેમાં વધુ ટ્રેનો ચલાવવી અને પ્લેટફોર્મ પર સુરક્ષા કર્મચારીઓની તૈનાતીનો સમાવેશ થાય છે.
આ દુર્ઘટનાએ મુંબઈની લોકલ ટ્રેનો પર નિર્ભર લાખો મુસાફરોમાં ચિંતા ફેલાઇ છે. મુંબઈની લોકલ ટ્રેનો શહેરની જીવાદોરી ગણાય છે, પરંતુ વધતી ભીડ અને સુરક્ષાના અભાવે આવી ઘટનાઓ સામાન્ય બની રહી છે. સ્થાનિક લોકોએ રેલવે વહીવટીતંત્ર પાસે ઝડપી તપાસ અને નક્કર પગલાંની માંગ કરી છે. આ ઘટનાએ સરકાર અને રેલવે વિભાગ પર દબાણ વધાર્યું છે કે તેઓ મુસાફરોની સુરક્ષા અને ટ્રેન સેવાઓની ક્ષમતા વધારવા માટે ઝડપી પગલાં લે.(૨૩.૨૬)
