ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ૧૧ દિવસીય ગણેશ મહોત્સવનું આજે સમાપન થયુ હતુ. અમદાવાદમાં ઠેરઠેર સ્થાપિત કરાયેલ દુંદાળા દેવની મુર્તિઓને આજે ભારે હૈયે અને ભીની આંખે વિદાય આપી વિસર્જન યાત્રાઓ યોજવામાં આવી હતી.
તમામ સ્થળોએ પંડાલો આજે ખાલી થઇ ગયા હતા. જે ચોકમાં દરરોજ રોશનીના ઝળહળાટ અને નયનરમ્ય શણગાર વચ્ચે આરતી પૂજન અને સાંસ્કૃતિ કાર્યક્રમોનો ધમધમાટ ચાલતો હતો ત્યાં આજે શાંતિ છવાઇ ગઇ હતી.
કયાંક બપોરે તો કયાંક બપોર બાદ દુંદાળા દેવની વિસર્જન યાત્રા નિકળી હતી. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયા હતા. ‘ગણપતિ અપને ગાંવ ચલે’ જેવા ગીતો અને ‘ગણપતિ બાપા મોરીયા, પુડચ્યા વર્ષી લવકરીયા’ના નાદોથી માર્ગો ગુંજી ઉઠયા હતા. અબીલ ગુલાલ અને પુષ્પવર્ષાથી વિસર્જન યાત્રાના માર્ગો લથબથ ગઇ ગયા હતા.
આજે અમદાવાદમાં વરસાદ હોય જાણે ગણપતિ બાપાને વિદાય આપવા મેઘરાજાની પણ હાજરી હોય તેવો ભાવ સૌએ અનુભવ્યો હતો. વરસતા વરસાદે પણ ગણેશ ભકતો ગણેશબાપાની વિસર્જન યાત્રામાં સામેલ થયા હતા.
અમદાવાદમાં મૂર્તિ વિસર્જન માટે કેટલાક સ્થળો તંત્ર દ્વારા નિરધારીત કરાયા છે. અનેક સ્થળોએ વિસર્જન કરવા કુત્રિમ કુંડ પણ બનાવવામાં આવ્યા છે.
નિકોલ ચા રાજા ના વિસર્જનમાં ભાવિ ભક્તોની ભીડ જામી હતી પોલીસ બંદોબસ્ત અને યુવા મંડળ દ્વારા વાજતા ગાજતા ગણેશજીના વિસર્જન કરવામાં આવ્યા હતા.
https://www.instagram.com/reel/DOQc2wxCFus/?igsh=c3NheWlzdGoxYnJ1
