ગુજરાત સરકાર કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી આવતીકાલે કોવિડના આકરા નિયંત્રણો અને નવી ગાઇડલાઇન્સ બહાર પાડે તેવી શક્યતા છે.
રાજ્ય સરકાર જે નવા નિયમો બહાર પાડશે તેમાં આકરા સોશ્યલ ડિસ્ટેન્સીંગના નિયમો, પ્રાઇવેટ ઓફિસના સ્ટાફની ગાઇડલાઇન્સ, રેસ્ટોરન્ટ અને હોટલ, જીમ, ક્લબ, કોચિંગ ક્લાસિસ, રીટેઇલ દુકાનો વગેરે માટેના નવા ટાઇમીંગ એટલે કે નવા સમયની જાહેરાત કરે તેવી શક્યતા છે.
જો કોરોનાનો વિસ્ફોટ થાય તો વિકેન્ડ કર્ફયુ પણ વિચારણા હેઠળ હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે. રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફયુ સહિતના કેટલાક કડક નિયમો લાગુ થાય તેવી શક્યતા છે. રાત્રિ કર્ફયુ ૧૧ને બદલે ૯થી અમલી બને તેવી પણ શક્યતા છે. એટલુ જ નહીં, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ-દુકાનો વગેરે ૮ કે ૯ વાગ્યા સુધી જ ચાલુ રાખવાની મંજૂરી મળે તેવી શક્યતા છે.
હાલ રાત્રિના ૧૧થી સવારના ૫ વાગ્યા સુધીનો કર્ફયુ છે. સરકાર નવી એસઓપી બનાવી રહી છે. રાજયમાં કોરોના તેજ ગતિથી વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેને લઇને રાજય સરકારે કોરોનાની સ્થિતિ મુદ્દે સમીક્ષા કરવા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક બોલાવી છે જેમાં કોરોનાને કાબૂમાં લેવા માટે શું કરવુ તે અંગે તમામ પાસાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

