May 9, 2026
દેશ

વિજય દિવસની ગૌરવ ગાથા,૧૩ દિવસમાં જ પાકિસ્તાનના ૯૮૦૦૦ સૈનિકો ઝૂકી ગયા

આજે સમગ્ર ભારતવર્ષમાં ગર્વ અને ગૌરવ સાથે ‘વિજય દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે 16 ડિસેમ્બરનો દિવસ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ એ જ તારીખ છે જ્યારે 1971માં ભારતીય સેનાએ પોતાના અદમ્ય સાહસ અને રણનીતિ દ્વારા પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યું હતું અને વિશ્વના નકશા પર ‘બાંગ્લાદેશ’ નામના એક સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય થયો હતો.

1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ સત્તાવાર રીતે 3 ડિસેમ્બરના રોજ શરૂ થયું હતું. ભારતીય સશસ્ત્ર દળો અને બાંગ્લાદેશી ‘મુક્તિ વાહિની’ (સ્વતંત્રતા સેનાનીઓ) ના સંયુક્ત સાહસ સામે પાકિસ્તાની સેના લાંબો સમય ટકી શકી નહીં. માત્ર 13 દિવસના ટૂંકા ગાળામાં જ ભારતે આ યુદ્ધમાં નિર્ણાયક જીત મેળવી લીધી હતી.

ઇતિહાસ સાક્ષી છે કે 16 ડિસેમ્બર, 1971 ના રોજ ઢાકામાં પાકિસ્તાની સેનાએ હાર સ્વીકારી હતી. જનરલ એ.એ.કે. નિયાઝીના નેતૃત્વ હેઠળ આશરે 93,000 પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સેના સમક્ષ ઐતિહાસિક આત્મસમર્પણ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછીનું આ સૌથી મોટું સૈન્ય શરણાગતિ ગણવામાં આવે છે.

આ યુદ્ધ માત્ર જમીન કે સત્તા માટેનો સંઘર્ષ નહોતો, પરંતુ માનવતા, ન્યાય અને આત્મસન્માનની લડાઈ હતી. આ સંઘર્ષના મૂળ ભાગલા પછી પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) માં વધી રહેલા રાજકીય અને સાંસ્કૃતિક ભેદભાવમાં રહેલા હતા. ત્યાંના નાગરિકો પર થઈ રહેલા અત્યાચાર અને નરસંહારને કારણે પરિસ્થિતિ વિસ્ફોટક બની હતી.

26 માર્ચ, 1971 ના રોજ પૂર્વ પાકિસ્તાનમાં સ્વતંત્રતાની માંગ ઉઠી હતી, જેને પાકિસ્તાની શાસકોએ બળજબરીથી દબાવવાનો પ્રયાસ કર્યો હતો. માનવતાના ધોરણે ભારતે બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામને સમર્થન આપ્યું અને લાખો શરણાર્થીઓને સુરક્ષિત આશ્રય પૂરો પાડ્યો.

આ ઐતિહાસિક વિજયમાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના મજબૂત નેતૃત્વ અને ભારતીય સેનાની વ્યૂહાત્મક કુશળતાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આજે વિજય દિવસ નિમિત્તે દેશવાસીઓ તે વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે જેમણે દેશની સુરક્ષા અને માનવતાના રક્ષણ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું.

Related posts

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર  કોરોનાની ઝપટેમાં

Ahmedabad Samay

રાહુલ ગાંધીની સંસદની સદસ્‍યતા સમાપ્ત કરવામાં આવી, ગઈકાલે જ સુરત કોર્ટે તેને બે વર્ષની કેદની સજા ફટકારી

Ahmedabad Samay

મોદી સરકાર પાકિસ્‍તાનને પાઠ ભણાવવા માટે ચોક્કસપણે ત્રણ વિકલ્‍પો વિશે વિચારશે

Ahmedabad Samay

કોરોના ની ચેન તોડવા ૧૪ દિવસનું લોકડાઉન જરૂરી

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે મમતા સરકાર, બંગાળ પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન પર અનેક સવાલો ઉઠાવ્યા હતા,જાણો સુપ્રીમ કોર્ટમાં થયેલ સુનાવણીની 10 મોટી વાતો

Ahmedabad Samay

જેહાદીઓ દ્વારા દિલ્હીમાં રામ ભક્તની રામ નામ લેવા પર કરી કરુણ હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો