અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક કમકમાટીભરી ઘટના છારાનગરમાં સામે આવી છે. છારાનગરની ફ્રી કોલોનીમાં તસ્કરોએ માત્ર લૂંટના ઈરાદે 60 વર્ષીય વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં સૌથી વધુ આંચકાજનક બાબત એ છે કે, હત્યા કર્યા બાદ પણ લૂંટારુઓ ડર્યા વગર એક કલાક સુધી મૃતદેહ પાસે બેસીને ઘર ફંફોસતા રહ્યા હતા.
મોઢું દબાવી, પગ બાંધીને ખેલાયો ખૂની ખેલ
મૃતક ભારતીબેન બજરંગી (ઉં.વ. 60) લાંબા સમયથી ઘરમાં એકલા રહેતા હતા. મોડી રાત્રે ત્રણ જેટલા હેવાન લૂંટારુઓ તેમના ઘરમાં ત્રાટક્યા હતા. વૃદ્ધા પ્રતિકાર ન કરે તે માટે લૂંટારુઓએ તેમના પગ બાંધી દીધા હતા અને અત્યંત નિર્દયતાથી તેમનું મોઢું દબાવીને શ્વાસ રુંધી નાખ્યો હતો.
હત્યા પછી પણ તિજોરી ફંફોસતા રહ્યા નરાધમો
સામાન્ય રીતે ગુનો કર્યા બાદ ગુનેગારો ભાગી છૂટતા હોય છે, પરંતુ અહીં લૂંટારુઓએ નિર્ભય બનીને એક કલાક સુધી ઘરમાં મુકામ કર્યો હતો. ઠંડા કલેજે હત્યા કર્યા બાદ તેઓએ આખું ઘર વેરવિખેર કરી નાખ્યું, તિજોરીઓ તોડી અને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવી હતી. વહેલી સવારે પાડોશીએ દરવાજો ખુલ્લો જોતા આ પાશવી ઘટનાનો પર્દાફાશ થયો હતો.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે, સીસીટીવીમાં કેદ થયા આરોપીઓ ઘટનાની ગંભીરતા જોતા સરદારનગર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ, FSL અને ડોગ સ્ક્વોડની ટીમ દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજમાં ત્રણ શંકાસ્પદ શખ્સો જોવા મળ્યા છે, જેમના આધારે પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં એકલા રહેતા વૃદ્ધોની સુરક્ષા પર મોટા સવાલો ઉભા કર્યા છે.
પાછલી પોસ્ટ
