March 4, 2026
Other

હોળીની પૌરાણિક કથા, શા માટે ઉજવાય છે હોળી

માર્ચ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ દિવસો ઉજવવામાં આવે છે જેમાં ખાસ કરીને *આનંદ અને રંગોનો તહેવાર હોળી* વિશે ખાસ રસપ્રદ આરોગ્યવર્ધક જાણકારી આપ સહુ માટે ખૂબજ ઉપયોગી થઈ રહેશે…

“હોલીષ્ટિક હેલ્ધી હોળી”
આ તહેવાર સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને હોલીષ્ટિક દ્રષ્ટિકોણનો અદ્ભુત ત્રિવેણી સંગમ છે, જે અતૂટ રીતે જોડાયેલા છે અને હંમેશા રહેશે.

રંગબેરંગી હોળી આવી ગઈ છે…
દરેકના જીવનમાં ખુશીઓ લાવી છે…

હોળીની પૌરાણિક કથા
હિરકણ્યકશ્યપનો મોટો પુત્ર પ્રહલાદ ભગવાન શ્રી વિષ્ણુનો મહાન ભક્ત હતો. તેના પિતાની વારંવાર વિનંતીઓ છતાં, પ્રહલાદ વિષ્ણુની પૂજા કરવાનું ચાલુ રાખ્યું. રાક્ષસનો પુત્ર હોવા છતાં, પ્રહલાદ નારદ મુનિના ઉપદેશોના પરિણામે ભગવાન નારાયણનો મહાન ભક્ત બન્યો. રાક્ષસ રાજા હિરણ્યકશ્યપ પોતાના પુત્રને મારી નાખવા માટે ઘણી વાર પ્રયાસ કર્યા, પરંતુ ભગવાન નારાયણે પોતે તેનું રક્ષણ કર્યું અને પ્રહલાદનો એક વાળ પણ વાંકો થયો નહીં.

રાજા હિરણ્યકશ્યપની બહેન, હોલિકાને વરદાનમાં ભગવાન શીવ તરફથી એવી શાલ મળી, કે જેને ઓઢવાથી અગ્નિ તેને બાળી શકે નહીં. હોલિકાએ પોતાને તે શાલથી ઢાંકી, પ્રહલાદને ખોળામાં રાખીને ચિતા પર બેઠી. સંયોગ મુજબ હોલિકા બળી ગઈ અને ઈશ્વર કૃપાથી પ્રહલાદનો બચી ગયો. ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે. આમ, અન્ય હિન્દુ તહેવારોની જેમ, હોળી એ અનિષ્ટ પર ઈષ્ટ ના વિજયનું ભવ્ય પ્રતીક છે.

હોળીના તહેવારની વિવિધતા
ભારતના વિવિધ પ્રદેશોમાં ઘણી સમાનતાઓ અને તફાવતો સાથે હોળી ઉજવવામાં આવે છે.
બ્રજ ની લઠ્ઠમાર હોળી વિશ્વ વિખ્યાત છે. આમાં પુરુષો સ્ત્રીઓ પર રંગો ફેંકે છે અને સ્ત્રીઓ તેમને લાકડીઓ તથા કાપડના ચાબુકથી મારે છે. *મથુરા અને વૃંદાવન* પણ પંદર દિવસ સુધી હોળી ઉજવે છે, જ્યાં રાધા-કૃષ્ણ અને ગોપીઓ સાથેની પ્રાચીન રાસ વિશ્વ વિખ્યાત છે. *કુમાઉ* માં શાસ્ત્રીય સંગીતના મેળાવડા હોય છે. *રાજસ્થાન* માં સાત દિવસ ગુલાલ અને રંગોથી ઉજવવામાં આવે છે. *હરિયાણા* માં ધુળંદી એ એક પરંપરા છે કે ભાભી તેના ભાઈ-ભાભીને ચીડવે છે. *બંગાળ* માં દોલ જાત્રા ચૈતન્ય મહાપ્રભુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંગીત અને નૃત્ય સાથે સરઘસ કાઢવામાં આવે છે. *મહારાષ્ટ્ર*, રંગ પંચમી પર, લોકો ગુલાલથી રમે છે.

*ગોવા* ના શિમગોમાં શોભાયાત્રા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, *પંજાબ* ના મોહલ્લામાં શીખ લોકો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે લોહરી ઉજવે છે. *તમિલનાડુ* માં કમન પોડિગાઈ મુખ્યત્વે કામદેવની વાર્તા પર આધારિત વસંત ઉત્સવ છે, જ્યારે *મણિપુર* ના યાઓસાંગમાં, યાઓસાંગ નામની ઝૂંપડીનો ઉલ્લેખ કરે છે, જે પૂર્ણિમાના દિવસે દરેક શહેર અને ગામમાં નદી અથવા તળાવના કિનારે બાંધવામાં આવે છે. *આસામ* માં બિહુ એ નવા વાવેતરનું સ્વાગત કરવા માટેનું લોકનૃત્ય છે. *દક્ષિણ ગુજરાત* ના આદિવાસી લોકોમાં સમૃદ્ધ લોકનૃત્ય પરંપરા છે, *છત્તીસગઢ* માં સમૃદ્ધ લોકગીત પરંપરા છે,*મધ્યપ્રદેશ* ના માલવા પ્રદેશમાં હોળીનું એક સ્વરૂપ ભગોરિયા તરીકે ઉજવવામાં આવે છે. *બિહાર* માં ફાગુઆ મોજ મસ્તી, આનંદનો તહેવાર છે અને *નેપાળ* ની હોળી પણ ધાર્મિક અને સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ દર્શાવે છે.

*આધુનિક હોળી*
હોળી એ હાસ્ય, આનંદ, ઉજવણીનો પારિવારિક તહેવાર છે. પરંતુ આજે મોજ મસ્તી માટે રાસાયણિક રંગો, કાયમી પાકા રંગો, ગટરનું પાણી, કીચડ કાદવ, છોકરાઓ અને છોકરીઓ વચ્ચે છેડછાડ, જુગાર, શેરી ઝઘડા, નશાખોરી, પશ્ચિમી કપડાં અને અંગ્રેજી ગીતો પર નૃત્ય તેના આધુનિક અભિવ્યક્તિઓ છે. પશ્ચિમી સંસ્કૃતિનું, આંધળું અનુકરણ, રાસાયણિક રંગોની ખરાબ અસરો અને સ્વાસ્થ્ય જોખમોની સંભાવના હોવા છતાં, આવી લોકપ્રિયતા વધવાથી, આવનારી પેઢી માટે અત્યંત ચિંતાજનક છે, તેના પર ગંભીરતાથી સહુએ ચિંતન કરવું જોઈએ.

ઓગસ્ટમાં *સ્પેનના બુનોલમાં યોજાતો લા ટોમેટિના*, વિશ્વનો સૌથી મોટો ફૂડ ફાઇટ ફેસ્ટિવલ છે. લોકો એકબીજા પર ટમેટાં ફેંકે છે અને તેના રસથી હોળી રમે છે. જેની ઝલક ફિલ્મ *ઝિંદગી મિલેગી ના દોબારા* ના “એક જુનૂન એક દીવાનગી” ગીતમાં જોઈ શકાય છે. હોળી પર ઘણા નવા જૂના ફિલ્મી ગીતો લોકપ્રીય થયા છે. કેટલાક દેશોમાં તો લોકો ભીની માટીના સ્નાનથી તહેવાર ઉજવે છે, જે હવે ભારતના મોટાભાગના ગામડાઓ અને શહેરોમાં ઉજવવામાં આવી રહ્યું છે.

*પરંપરાગત હોળી*
આપણા દાદા-દાદી કે નાના-નાની ને પૂછવું જોઈએ કે તેઓ બાળપણમાં હોળી કેવી રીતે ઉજવતા હતા…!!!

આપણી સંસ્કૃતિ અને પરંપરા અનુસાર, ગામની મધ્યમાં અથવા શહેરના દરેક શેરીના ચાર રસ્તા પર એક ફૂટ ઊંડા ખાડામાં મોટુ માટલુ મૂકવામાં આવે છે, જેમાં ઘઉં, ચણા, જવ, જુવાર વગેરે જેવા કાચા અનાજ, પાણી સાથે માટલાની અંદર મૂકવામાં આવે છે. ગૌમાતાના હજારો સૂકા છાણને એકબીજાની ઉપર મૂકવામાં આવે છે, જેનાથી ઉંચા શિવલિંગ જેવો આકાર બને છે. શિવલિંગને મધ્યમાં ધજા, ફૂલોની માળા, કુમકુમ, ચંદન, જવ, તલ, ચોખા, કપૂર, સૂકા ઘાસ, પાંદડાઓ, તોરણ અને ફુલોની માળાથી સંપૂર્ણ ચોક ને શણગારવામાં આવે છે.

રાત્રે શુભ ઘડીએ ઢોલ વગાડીને ઈશ્વરની આરાધના સાથે હોળી પ્રગટાવવામાં આવે છે. નિષ્ણાંતો ખેતરોનું વાવેતર અને હવામાન સ્થિતિ વિશે આગાહી કરે છે, હોળીની જ્યોત કઈ દિશામાં જાય છે તેના આધારે નક્કી થતું હોય છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, બધા ધર્મના લોકો હોળીના દર્શન કરે છે, પ્રદક્ષિણા કરી પાણી ચઢાવે છે. પ્રજ્વલિત હોળીમાં શ્રીફળ, ધાણી, ખજૂર, પતાશા વગેરે નાખવામાં આવે છે. બાળકો રમતો રમે છે. પુરુષો અને સ્ત્રીઓ મોડી રાત સુધી માતાજીના સંગીત પર રાસ ગરબા કરે છે. વડીલો સાથે બેસીને વાતચીત કરે છે. શાસ્ત્રીય સંગીત ભજનનુ પણ આયોજન કરવામાં આવે છે. કેટલાક લોકો તંદુરસ્તી માટે મોડી રાત સુધી શરીરમાં પરસેવો થાય ત્યાં સુધી ગરમ શેક કરે છે. યુવાનો સામૂહિક શેરી રમતો રમે છે. બ્રહ્મ મુહૂર્તમાં હોળીના અંગારા પર ઘરનું પાણી નાખીને ઠારવી એ પુણ્ય માનવામાં આવે છે, સાથે તેની રાખથી સ્નાન કરવું, તિલક કરવું એ પણ લાભદાયી છે. આખી રાત માટલામાં પકવેલ પ્રસાદી (ધુધરી – પૌષ્ટિક અને સ્વાદિષ્ટ) બધા ઘરોમાં વહેંચવામાં આવે છે.

બીજા દિવસે, રંગોથી હોળી (ધૂળેટી) રમીએ છીએ, જેમાં ઔષધીય ફૂલ કેસુડા, કુમકુમ, ગુલાલ, ચંદન, ગુલાબ અને અન્ય ફૂલો સાથે કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકો આ પાણીને પિચકારી, વોટર ગન અને ફુગ્ગાઓ ભરી હોળી રમે છે. પુખ્ત વયના લોકો એકબીજા પર કુદરતી રંગો લગાવે છે. સંગીતમાં ગાયન, ભજન, ધૂન, કીર્તનની જમાવટ થાય છે. કેટલાક પર્યાવરણ સંરક્ષણને મહત્વ આપે છે. લોકો જીવનના બધાજ દુ:ખો ભૂલીને પરમ આનંદની અનુભૂતિ કરે છે. આથી હોળી એ બધાનો પ્રિય તહેવાર છે.

*હોળી – એક કુદરતી ઉપચાર (નેચરોપેથી)*
હોળીના તહેવાર પછી ગરમી શરૂ થાય છે અને હોળી પહેલાના ત્રણ મહિના ખૂબ જ ઠંડી હોય છે, જેમાં સામાન્ય રીતે શરદી, ઉધરસ, તાવ અને માથાનો દુઃખાવો વગેરે જેવી તકલીફો અસ્વસ્થતાનું કારણ બને છે, જે બીલકુલ સહજ છે.
મિશ્ર હવામાન અને શરીરની આવી સ્થિતિમાં, *જ્યારે આપણે હોળીની જ્વાળા નો ગરમા ગરમ શેક લઈએ છીએ અને પછી બીજા દિવસે કુદરતી રંગો ઔષધી મિશ્રિત પાણીથી દિવ્ય સ્નાન કરીએ છીએ, ત્યારે “કુદરતી ઉપચાર”* ના ઉત્તમ ઉપચારોમાંનો એક છે.
કારણકે ઠંડુ અને ગરમ શેક દ્રારા શરીરની સામાન્ય સમસ્યાઓને દૂર કરવા માટેની આ અદ્ભુત વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જેને હવે આધુનિક વિજ્ઞાને પણ સ્વીકાર કર્યો છે.

*”હોલિષ્ટક હેલ્ધી હોળી”* ના બધા ફાયદાઓ વિશે લખવાથી આ લેખ ખૂબ લાંબો થઈ જશે, તેથી સારાંશ જણાવેલ છે. તો વધુ માહિતી આગામી અંકમાં *કુદરતી ઉપચાર (નેચરોપેથી)* રસપ્રદ અને સરળ આરોગ્ય પદધતિ વિશે વિગતવાર જાણી શકશો…
– અસ્થમા, ક્ષય, શરદી, ઉધરસ, સાંધાનો દુખાવો વગેરે જેવા રોગોથી રાહત મેળવી શકાય છે.
– અગ્નિના ગરમ શેકથી પરસેવો થાય છે, જે શરીરને ઝેરી તત્વો (ટોકસીન) થી મુક્ત કરે છે.
– ગૌમાતાના સૂકા છાણ, કપૂર, ચંદન વગેરે બાળવાથી પર્યાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે.
– માટીના વાસણમાં પકવેલ અનાજ (“પ્રસાદી”), આપણે કેવી રીતે પૌષ્ટિક આહાર બનાવો તેની પ્રેરણા આપે છે.
– ઔષધીય પાણીનાં દિવ્ય સ્નાન કરવાથી તન – મનને શાંતિ, શીતળતા, ખુશી, તાજગી અને જોશ મળે છે.

*होली में दिल खील जाते हैं, रंगो से रंग मिल जाते है,*
*रोग मुक्त होके दोस्तों, तन मन भी खुश हो जाते हैं*

તો ચાલો આજે આપણે બધા હંમેશા *સાંસ્કૃતિક, વૈદિક અને પ્રાકૃતિક* રીતે હોળી તહેવાર ઉજવવાનો સંકલ્પ કરીએ. બાળકો, પરિવાર, મિત્રો, સંબંધીઓ અને લોકોને તેના ફાયદાઓ વિશે માહિતગાર કરીએ, કારણ કે આ પદ્ધતિ ભૂતકાળમાં સાચી, વૈજ્ઞાનિક અને યોગ્ય હતી, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે.

લિ.ચિંતન ત્રિવેદી.

Related posts

ખુશ રહેવાની ફોર્મ્યુલા

Ahmedabad Samay

અમદાવાદ  શહેરના 28 P.I.ની આંતરીક બદલીઓ તાત્કાલિકના ધોરણે કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદમાં વરસાદના પગલે વાસણા બેરેજના બે ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા

Ahmedabad Samay

રૂપાલની પલ્લી, આજ રોજ ગાંધીનગરના રુપાલ ગામે વરદાયિની માતાજીની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે, વહેશે ઘીની નદીઓ

Ahmedabad Samay

એજ્યુકેશનલ મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટર (EMRC), ગુજરાત યુનિવર્સિટી દ્વારા “ડીઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ડીજીટલ કન્ટેન્ટ” વિષય પર નેશનલ સેમીનાર યોજાયો

Ahmedabad Samay

ભક્તો નહિ કરી શકે દર્શન, કોરોના સંક્રમણ વધતા મોટા ભાગના મંદિરો થયા.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો