ભારતના આર્થિક ઇતિહાસમાં ૧૯૬૮નો ‘ગોલ્ડ કંટ્રોલ એક્ટ’ એક એવો અધ્યાય હતો જેણે સામાન્ય માણસના સોનાના સંગ્રહ પર સરકારી લગામ લગાવી હતી. તે સમયે પરિણીત મહિલાઓ માટે ૫૦૦ ગ્રામ અને પુરુષો માટે માત્ર ૧૦૦ ગ્રામ સોનું રાખવાની મર્યાદા હતી. ૨૦૨૬માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને એક વર્ષ માટે સોનું ન ખરીદવાની આજીજી કરી રહ્યા છે, ત્યારે જૂના કાયદાની યાદ તાજી થઈ છે.
જો ૧૯૯૦માં તત્કાલીન નાણામંત્રી મનમોહન સિંઘે આ કાયદો નાબૂદ ના કર્યો હોત, તો કદાચ આજે સરકાર પાસે લોકોને કાયદેસર રીતે સોનું ખરીદતા રોકવાની સીધી સત્તા હોત.
મનમોહન સિંઘે ૧૯૯૧ના આર્થિક સુધારા વખતે આ કાયદો રદ કર્યો કારણ કે તેનાથી સોનાની દાણચોરી અને અંડરવર્લ્ડનું જોર વધી ગયું હતું. સરકારનું માનવું હતું કે પ્રતિબંધ મૂકવા કરતા બજારને ખુલ્લું મૂકવું વધુ હિતાવહ છે. જોકે, આ ઉદારીકરણનું પરિણામ એ આવ્યું કે ભારત આજે વિશ્વનો સૌથી મોટો સોનાનો ગ્રાહક બની ગયો છે. લોકોની સોના પ્રત્યેની દીવાનગીને કારણે દર વર્ષે અબજો ડોલર વિદેશી હૂંડિયામણ સોનાની આયાત પાછળ ખર્ચાય છે, જે ભારતની ચાલુ ખાતાની ખાધ અને રૂપિયાના મૂલ્ય પર સીધું દબાણ લાવે છે.
વર્તમાન સ્થિતિમાં સરકાર ગોલ્ડ કંટ્રોલ એક્ટ જેવા કડક કાયદા પાછા લાવવાને બદલે જનજાગૃતિ અને ઉચ્ચ આયાત ડ્યુટીનો સહારો લઈ રહી છે. પીએમ મોદીની અપીલનો મુખ્ય હેતુ દેશના કિંમતી ડોલર બચાવવાનો અને અર્થતંત્રને મજબૂત કરવાનો છે. સોનું ભારતીયો માટે માત્ર ઘરેણું નથી પણ ભાવનાત્મક સુરક્ષા છે, ત્યારે સરકાર માટે પડકાર એ છે કે કાયદા વગર લોકોની આ ખરીદીની આદતને કેવી રીતે નિયંત્રિત કરવી. ૨૦૨૬ના આ તબક્કે ફરી એકવાર સોનું વિરુદ્ધ દેશનું અર્થતંત્ર એ ચર્ચાનો વિષય બન્યો છે.
