“કોરોના મહામારીની બીજી લહેરમાંથી માંડ છૂટકારો મળ્યા પછી ફરીથી સરકારની ચિંતા વધવા લાગી છે. કોરોનાનો પ્રકોપ ઘટતાં લોકો હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો પર કોરોના પ્રોટોકોલ તોડીને ટોળે વળતાં સરકારની ચિંતિત છે.
એવામાં દુનિયામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાની વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી વચ્ચે દેશમાં ૭૩ જિલ્લાઓમાં કોરોનાના દૈનિક ૧૦૦થી વધુ કેસ નોંધાતા હોવાથી સરકારની ચિંતામાં વધારો થયો છે.
કેન્દ્ર સરકારે શુક્રવારે ચેતવણીજનક સૂરમાં કહ્યું હતું કે દેશ માટે આગામી ૧૦૦થી ૧૨૫ દિવસ દ્યણા જ મહત્વના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજયોને ત્રીજી લહેર રોકવા માટે આગોતરાં પગલાં લેવા નિર્દેશો આપ્યા છે અને રાજયોને ચાર-ટી ‘ટેસ્ટ’, ‘ટ્રેક’, ‘ટ્રીટ’ અને ‘ટિકા’ના મંત્ર આપ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશના ૭૩ જિલ્લામાં કોરોનાના દૈનિક કેસ ૧૦૦થી વધુ નોંધાઈ રહ્યા છે અને ૪૭ જિલ્લામાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ છે. કોરોના અંગે ભારતમાં આગામી ૧૦૦થી ૧૨૫ દિવસ ઘણા જ મહત્વના છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડેટાના આધારે આ બાબતનું વિશ્વેષણ કરાયું છે. વિશ્વ કોરોનાની ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યું છે.
નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે જણાવ્યું કે વિશ્વ પર નજર કરીએ તો સ્પેનમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસ ૬૪ ટકા વધ્યા છે જયારે નેધરલેન્ડ્સમાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક સ્તરે ચેતવણી આપી છે. આપણે આ બાબત સમજવી પડશે.
આપણા પર હજી પર કોરોનાનું ભયંકર જોખમ તોળાઈ રહ્યું છે. હજી દેશમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી નથી. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે,પરંતુ સાવધાની નહીં રાખીએ અને કોરોના પ્રોટોકોલનું પાલન નહીં કરીએ તો સ્થિતિ ગમે ત્યારે બગડી શકે છે. ડો. પોલે કહ્યું કે આઈસીએમઆર મુજબ કોરોનાની રસીના બે ડોઝથી મોતનું જોખમ ૯૫ ટકા અને એક ડોઝથી ૮૨ ટકા ઘટી જાય છે. તમિલનાડુના પોલીસ કર્મચારીઓ પર કરાયેલા એક અભ્યાસના આધારે આ દાવો કરાયો છે.