ગુજરાતમાં કેટલાક ભાગોમાં આક્રમક ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તો કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ઘટવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી લોકો અસહ્ય બફારાથી પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમી ઘટવા સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, હવે ધીમે-ધીમે ગરમીમાં ઘટાડો થશે. એટલે કે સવારે ગરમી ઓછી લાગશે, પરંતુ બપોરના સમયે આકરી ગરમી યથાવત રહેશે. જો કે બપોર બાદ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી શકે છે.
અત્યારે ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. જે હવે ઘટશે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસાપાસ આવી જશે. જ્યારે કચ્છમાં 38 ડિગ્રી તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 32 થી 35 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.
હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આવતીકાલે એટલે કે 25 મેથી 8 જૂન વચ્ચે રોહીણી નક્ષત્ર રહેશે, જે બાદ 8 જૂનથી મૃગશિર્ષ નક્ષત્ર બેસશે. રોહીણી નક્ષત્રમાં પડતો વરસાદ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થાય છે.
આથી આગામી 7 જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા ભાગોમાં વધારે રહેશે. જેમાં એક થી લઈને 2 ઈંચ સુધીનો વરસાદ વરસે તેવી શક્યતા છે.
એવું કહેવાય છે કે, રોહીણી નક્ષત્ર ઉતરતા વરસાદ વરસે, તો તે ખેતી માટે લાભદાયી મનાય છે. તેમજ તે વર્ષે ચોમાસું સારું રહે છે. રોહીણી નક્ષત્ર ઉતરતાં 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે અને ગતિ પણ વધશે. જેની અસરથી ગુજરાતમાં પણ 8 થી 15 જૂન અને 23 થી 28 જૂન વચે વરસાદ પડી શકે છે.
ચોમાસા અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અત્યારે ચોમાસું કેરળના કાંઠાની નજીક પહોંચી ચૂક્યું છે. જો કે અરબ સાગરની સિસ્ટમ પવનોને પાછા પાડી રહી છે. આવનારા દિવસોમાં આ સિસ્ટમ નબળી પડતાં ચોમાસું પુનઃ ગતિ પકડશે અને 26 થી 28 મેની વચ્ચે દક્ષિણના કાંઠે આવી જશે.
