લોકડાઉન દરમ્યાન લોકોને ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું અને મંદી નો માહોલ સર્જાયો છે, જયારે અનલોક થતા પોતાને થયેલા નુકસાન ની ભરપાઈ કરવા વહેપારીઓ ગ્રાહક જોડે થી મોટી કિંમત વસુલ કરી રહ્યા છે અને કાળા બજારી કરી રહ્યા છે, બજારમાં ૮૦ થી ૯૦ રૂપિયા કિલો મળતી મગની દાળ અમદાવાદના કરિયાણાના વેપારી ૧૪૦ રૂપિયા કિલો વેચી રહ્યા છે. જ્યારે તુવેરની દાળ પણ ૧૨૦ થી માડી ૧૪૦ રૂપિયા કિલો વેચાઇ રહી છે. લાચાર ગ્રાહકો પાસેથી કરિયાણાના વેપારી એક કિલો દાળ પર ૩૦ રૂપિયાથી માંડીને ૫૦ કે ૬૦ રૂપિયા સુધીનો નફો લઇ રહ્યા છે. થોડા દિવસ પહેલા સુધી જે મગની દાળ સો રૂપિયે કિલો મળતી હતી.તેનો ભાવ હવે ૧૩૦ રૂપિયાથી ૧૪૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. તુવેરની દાળના પણ ૧૪૦ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.
આ મુદ્દે કાલુપુર બજારમાં દાળ તથા કઠોળ ના હોલસેલના વેપારી એ જણાવ્યું હતું કે હોલસેલ બજારમાં તુવેરની દાળનો ભાવ તેલવાળી ૮૫થી ૮૭ રૂપિયા જ્યારે કોરીનો ૮૦થી ૮૫ રૂપિયા છે. જ્યારે મગની દાળ ફોતરાવાળીના ૮૦થી ૮૫ રૂપિયા, મગની મોગર દાળના ૯૦ રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. હવે હદ તો ત્યારે થાય છે કે આ ૯૦ રૂપિયાની દાળ બજારમાં ૧૩૦ થી ૧૪૦ રૂપિયા કિલો વેચાઇ રહી છે જ્યારે ૮૦થી ૮૫ રૂપિયામાં મળતી તુવેરની દાળ પણ ૧૪૦ રૂપિયા વેચાઈ રહી છે. તેવી જ રીતે તેલના ડબ્બા ઉપર પણ દોઢસો રૂપિયાનો નફો લેવામાં આવી રહ્યો છે.
દુકાનદારો દ્વારા જુવાર અને મગની દાળમાં નફાખોરી કરવામાં આવતી હોવાના મુદ્દે અમદાવાદ વેપારી મહાજનના પ્રમુખ હર્ષદ ગીલેટવાળા સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. તેમણે પણ આવા નફાખોરી કરતા કરિયાણાના વેપારીઓને કારણે જ વેપારીઓની પ્રતિષ્ઠા ખરડાતી હોય છે માટે તેમની સામે ચોક્કસ પગલાં લેવા જોઈએ તેમ જણાવ્યું હતું. બીજી તરફ નાગરિકો સરકાર ચોક્કસ પગલાં લે અને છેતરાતા ગ્રાહકને બચાવવા માટે ભાવ નક્કી કરે તે અનિવાર્ય હોવાનું જણાવી રહ્યા છે સાથે સાથે નફાખોરી કરતા કરિયાણાના વેપારી સામે કડક પગલાં લેવા માટે માગ કરવામાં આવી રહી છે.
