અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામાં પ્રમાણે, શહેરમાં આતંકવાદીઓ હુમલો કરી શકે છે. બોમ્બ ગોઠવવા માટે આતંકવાદીઓ સાયકલનો ઉપયોગ કરી શકે છે. આથી શહેરમાં સાયકલ વેચાણ કરતાં વેપારીએ ખરીદનાર ગ્રાહકની વિગતો સાચવીને રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વાહન ખરીદનારા ગ્રાહકને ફરજિયાત બિલ આપવાનું રહેશે અને ગ્રાહકનું ઓળખ પત્રની ઝેરોક્ષ કોપી પોતાની પાસે રાખવી પડશે. આ જાહેરનામું આગામી ૬૦ દિવસ માટે અમલી રહેશે ક અને તેના ભંગ કરનાર વિરૂદ્ધ કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
વધુ ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પણ પોલીસ કમિશ્નરે આતંકવાદી હુમલાની દહેશતના પગલે એક જાહેરનામું બહાર પાડયું હતું. જેમાં શહેરના થિયેટર્સ, શોપિંગ મોલ્સ, ધર્મશાળા, ગેસ્ટ હાઉસ, જ્વેલર્સ શોપ અને આંગડિયા પેઢીમાં CCTV ગોઠવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત CCTV ફૂટેજનું ૧૫ દિવસનું સ્પષ્ટ ડેટા સાચવી રાખવાનું પણ જણાવાયું હતું. જ્યારે હોટલ કે ધર્મશાળામાં રોકાનાર વ્યક્તિના ઓળખ પત્ર અને તેમના રોકાવાના કારણની વિગતો નોંધવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
આ પહેલા આતંકવાદીઓ લોકોની અવરજવર વધુ રહેતી હોય તેવા વિસ્તારો જેવા કે, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, પ્રવાસન સ્થળો વગેરે જગ્યાએ સાયકલ પર બોમ્બ ગોઠવીને બ્લાસ્ટ થકી પોતાના બળ ઇરાદાને અંજામ આપી ચૂક્યા છે. જેને પગલે શહેર પોલીસ અત્યારથી જ એલર્ટ થઈ ગઈ છે.
