અમદાવાદ શહેરમાં સતત વધતા કોરોનાના પ્રસારને અટકાવવા માટે તથા થઈ રહેલી કામગીરીઓની સમીક્ષા માટે આજે સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર, તથા જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યાં હતાં.
કોરોનાકાળમાં લોકો ઘરની બહાર નીકળે ત્યારે ફરજિયાત પણે માસ્ક પહેરે અને જાહેરમાં ન થૂંકે તે બાબતો અત્યંત મહત્વની છે. આ અંગે લોકોને જાગૃત કરવા માટે વ્યાપક પ્રચાર પ્રસાર પણ કોર્પોરેશન દ્વારા થયો છે. જેમાં માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયાનો દંડ પણ વસૂલવાનો નિયમ લાગુ હતો.
શહેરમાં કોરોનાના કેસ સતત નિયંત્રણમાં રાખવા માટે લોકો દ્વારા ફરજિયાતપણે માસ્ક પહેરવામાં આવે અને જ્યાંત્યાં ન થૂંકવામાં આવે તે અત્યંત જરૂરી છે. જો કે એવું જોવા મળે છે કે આમ છતાં અનેક લોકો જાહેરમાં માસ્ક પહેરતા નથી અને નિયમોનું પાલન કરતા નથી. આથી હવે માસ્ક ન પહેરનારાઓ પાસેથી 200 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયા દંડ વસૂલવાનું નક્કી કરાયું છે. વધુમાં જો પાન ગલ્લા પાસે ગ્રાહકો દ્વારા થૂંકવાની પ્રવૃત્તિ જણાશે તો જે તે પાનગલ્લાવાળાઓ પાસેથી 10,000 રૂપિયા દંડ વસૂલાશે.
