ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી કોરોનાએ બાનમાં લીધા બાદ હવે ફરી અમદાવાદમાં કેસોમાં વધારો થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શનિવારે શહેરમાં ૧૮૫ કેસ નોંધાતા શહેરના બોડકદેવ અને બોપલ સહિત વધુ ૫ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની ફરજ પડી છે.
ઘોડાસર, સાઉથ બોપલ, બોડકદેવ અને ત્રાગડ રોડ આ પાંચ વિસ્તારમાં આવેલા ૬૪ મકાનોનો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. જેથી આ ઘરોમાં રહેતા ૨૪૨ લોકો હવે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેવું પડશે. જો કે, ૪ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત પણ કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ શનિવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૫ જેટલા કેસો સામે આવતા લોકોમાં ફરી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમા પણ ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે ડર છે. કોરોનાના મોટાભાગના કેસો પશ્ચિમ વિસ્તારમાં જ નોંધાઈ રહ્યા છે.
