એક તરફ વડાપ્રધાન પોતાની મનની વાતમાં ઓમિક્રોન વેરિએન્ટ સામે પોતાની સજાગતાથી લડવાની વાત કરે છે અને સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યાં છે તો બીજી તરફ ગુજરાત સરકાર પોતે મેળાવડાઓનું આયોજન કરી રહી છે.
સુરતમાં માત્ર 7500 લોકો તો રેલીમાં જોડાયા હતા, તે સિવાયના દર્શકો તો અલગ. આમ ટોટલ 10 હજારથી વધારે લોકો તંત્ર દ્વારા જ ભેગા કરવામાં આવ્યા અને તેમાં પોતે ગુજરાતના સીએમ અને ટોચના નેતાઓ અને અધિકારીઓએ પણ હાજરી આપી. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે નાગરિકોને નિરોગી અને સુખમય જીવનના ધ્યેય ગણાવવામાં આવ્યા.
એક સમય એવો હતો કે સુરતમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના કારણે લોકોને સ્મશાન બહાર લાઈનમાં ઉભા રહેવું પડતું હતું, તે વખતે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિનની અછત સર્જાઈ ગઈ હતી. તે વખતે કોઈ નેતા સુરતવાસીઓને આશ્વસન આપવા માટે પણ ગયું નહતું. પરંતુ હવે ઓમિક્રોનના કેસમાં પ્રતિદિવસ વધારો થઈ રહ્યો છે, તેવામાં સરકાર દ્વારા જ આવડો મોટો મેળાવડો કરીને પોતાની બ્રાન્ડીંગ કરવામાં આવી રહી છે. અંતે ભોગવવાનો વારો તો સામાન્ય પ્રજાનો જ આવશે.
આ કાર્યક્રમમાં રાજ્યના યુવા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તો માસ્ક પહેરવાનું પણ ટાળ્યું હતું. તો બીજી તરફ પોલીસ દ્વારા માસ્કના નામે ગુજરાતની પ્રજા પાસેથી લાખો રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે.
તેવામાં રાજ્યના ગૃહ મંત્રીને કોણ દંડ ફટકારશે?
સુરતમાં કોરોના કેસ વધશે તો જવાબદાર કોણ ગણાશે ?
ગૃહ રાજ્ય મંત્રી અને મુખ્યમંત્રીની બેદરકારીની જવાબદારી કોણ લેશે ?

