
નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પી. પ્રભાકરણે કહ્યુ હતું કે, કોરોના હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગેલી છે. સંક્રમિત લોકો સારવાર માટે ભટકી રહ્યા છે. સ્મશાનમાં એક સાથે ડઝનબંધ લાશો સળગી રહી છે. એક બેડ પર કેટલાય દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા છે. આવી તસ્વીરોએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. રાજકીય, ધાર્મિક નેતાને તેની જરા પણ ચિંતા નથી.
તેમણે કહ્યુ હતું કે, રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણી જરૂરી છે અને ધાર્મિક નેતાઓ માટે તેમની ધાર્મિક ઓળખાણ. પબ્લિક હેલ્થ, લોકોના જીવન તેમના માટે જરાયે મહત્વ ધરાવતા નથી. આપણા ટીવી બતાવે છે કે, પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અને વિપક્ષી નેતાઓ ચૂંટણી રેલી માટે હજારોની ભીડ એકઠી કરે છે. લોકોની ચિંતા કર્યા વગર કુંભ મેળામાં લાખો લોકોને સ્નાન કરવા બોલાવ્યા.જ્યારે પરિસ્થિતી બગડવા લાગે છે, ત્યારે ધાર્મિક ગુરૂઓ અને નેતાઓના નિવેદન આવી જાય છે કે, હવે કુંભને સાંકેતિક રાખવામાં આવ્યો છે.
તેઓ અહીં રોકાયા નહોતા. બંગાળમાં થઈ રહેલી ચૂંટણીને લઈને ભાજપ અને ટીએમસી પર બરાબરના પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, બંગાળમાં મુખ્ય હરિફ એવા ભાજપ અને ટીએમસીએ કોવિડ પ્રોટોકોલની ધજ્જિયા ઉડાવી છે. નેતાઓ રેલીઓ કરતા રહ્યા. હદ તો ત્યારે થાય છે જ્યારે નિષ્ણાંતો આ ચૂંટણી રેલીઓ અને કુંભ મેળાને યોગ્ય ઠેરવતા હોય છે. આશ્ચર્ય થાય છે જ્યારે અન્ય દેશોની સરખામણીએ આપણી હાલત સારી છે તેવી સુફિયાણી વાતો કરતા હોય છે. જો કે, હકીકતમાં આપણી સ્થિતી હાલ અત્યંત ખરાબ છે. જે રીતે દરરોજ હજારો મોત થઈ રહ્યા છે સરકારે કોઈ આકરા પગલા લેવા પડશે.
