પોલીસ કર્મચારીના ત્રાસથી શહેરમાં ગીતા મંદિર વિસ્તારમાં એક યુવકે આત્મહત્યા કરી છે.કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PSIના ત્રાસથી આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે.
ગીતા મંદિર વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ રેવરે ગતરોજ સાંજે આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસ દ્વારા તપાસ કરતા તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમા બિગ બજાર ચોકીના પી. એસ. આઈ ગોહિલ અને તેમની દુકાનના પડોશી જયેન્દ્ર નામના વ્યક્તિ પ્રેમજી ભાઈને વારંવાર માનસિક ત્રાસ આપતા હતા. જેના પરિણામે તેઓએ તેમના માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો ઊલેખ્ કર્યો છે.
સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, અમારી સાથે ખૂબ જ અન્યાય થયો છે. અમારી દુકાનની પાછળ જયેન્દ્ર કોસ્ટી અને બિગ બજારના ગોહિલ સાહેબ બન્ને મળીને અમારી ઉપર ખોટા કેસ કરીને ખોટી એફ.આઈ.આર કરીને અમને દબાણ કરે છે અને પી. એસ. આઈ ગોહિલ સાહેબ અમારું કાંઈ સાંભળતા નથી. આ બન્ને જણાએ એમને ખૂબ ત્રાસ આપ્યા છે. જેથી અમે આ આત્મહત્યાનું પગલું ભરેલ છે. અને મારું મારવાનુ કારણ આ બે જણા છે. પી. એસ. આઈ ગોહિલને કોઈપણ રજૂઆત કરીએ તો ઉલ્ટાનું અમોને દબાણ કરે છે અને કહે છે કે, તમો વધારે પડતું બોલશો તો તમને જેલમાં પૂરી દઈશ. આવી રીતે અમને ટોર્ચર કરે છે અને માનસિક હેરાન કરે છે.
જયેન્દ્રના મકાન પાછળ અમારી મરજીની જગ્યામાં પાકો સ્લેબ ધાબુ ભરાવી રાખેલ છે. અમો એ કહ્યું છતાં અમારું કાંઇપણ સાંભળેલ નથી.
હાલમાં પોલીસે આ સમગ્ર મામલે સ્યુસાઇડ નોટના આધારે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે જયેન્દ્ર કોસ્ટી, નરેન્દ્ર કોસ્ટી અને પી.એસ. આઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
